________________
શ્રી પ્રભાવક ચરિત્ર
પુત્રની હત્યાના પાપથી જાણે ભય પામ્યા હોય તેમ મર્મસ્થાને સખત વાગવાથી તેના પ્રાણ ચાલ્યા ગયા. પછી શીયાળની જેમ પાછળના દ્વારથી દુંદુકને રમતમાં દડાની જેમ માણસો મારફત ઘરથી બહાર કઢાવી મૂક્યો, અને પોતે વાજિંત્રોના નાદપૂર્વક સિંહાસન પર બેસી ગયો. એટલે સર્વ સામંતો, નાગરિકો અને મંત્રીઓએ તેને પ્રણામ કર્યા. ત્યારબાદ ભોજ ભૂપાલ શ્રી આમવિહાર નામના તીર્થને વંદન કરવા ગયો. ત્યાં શ્રી બપ્પભટ્ટિ મુનીશ્વરના બે શિષ્ય તેના જોવામાં આવ્યા, પણ તેમણે વિદ્યાના વિક્ષેપને લીધે રાજાનો સત્કાર ન કર્યો. એમ તેમણે અભ્યુત્થાનાદિ સન્માન ન કરવાથી ભોજરાજા ચિંતવવા લાગ્યો કે – ‘આ ગુરુના પદે રહેલા બંને શિષ્યો વ્યવહારથી અજ્ઞાત છે, તેથી એ ગુરુપદને યોગ્ય નથી. કારણ કે વિશ્વનો વ્યવહાર એ મહત્ત્વનું સ્થાન છે.' એમ ધારીને તેણે શ્રી નન્નસૂરિ તથા શ્રી ગોવિંદસૂરિને બોલાવીને તેમને આદરપૂર્વક ગુરુપદે સ્થાપ્યા. પછી રાજાએ શ્રી નન્નસૂરિને પરિવાર સહિત મોઢેર તીર્થમાં મોકલ્યા અને શ્રી ગોવિંદસૂરિને પોતાની પાસે રાખ્યા. ત્યારબાદ અનેક રાજાઓને તાબે કરતાં ભોજરાજા આમરાજા કરતાં પણ શ્રી જિનશાસનની અધિક ઉન્નતિ કરવા લાગ્યો.
214
એ પ્રમાણે શ્રી બપ્પભટ્ટિ, ભદ્રકીર્ત્તિ, વાદિકુંજરકેસરી, બ્રહ્મચારી, ગજવર અને રાજપૂજિત એવા બિરુદોથી જૈનશાસનરૂપ ક્ષીરસાગરમાં પ્રખ્યાત થયા અને કૌસ્તુભ રત્નની જેમ પુરુષોત્તમ–ઉત્તમ પુરુષોના હૃદયમાં તેમણે સ્થાન લીધું. ધર્મરૂપ કલ્પવૃક્ષના અંકુર સમાન તે શ્રી બપ્પભટ્ટિસૂરિ જગતરૂપ પીઠપર જયવંત વર્તો કે જેમનો નામરૂપ મંત્ર અત્યારે પણ અજ્ઞાનરૂપ વિષનો નાશ કરે છે.
એ રીતે સમસ્તલોકમાં વિખ્યાત શ્રી બપ્પભટ્ટિસૂરિનું ચરિત્ર પૂર્વ વિદ્વાનોએ બનાવેલ શાસ્ત્રો થકી જાણીને મેં તેમાંનું કંઈક અલ્પ અહીં કહી બતાવ્યું, તેમાં મારાથી કંઈ અનુચિત કહેવાયું હોય, તો સજ્જનો ક્ષમા કરે તથા તેમના પ્રસાદથી આ ચરિત્ર જિનમતમાં સ્થિરતા પામી સર્વ લોકોને આદરપાત્ર અને અચળ થાઓ.
શ્રી ચંદ્રપ્રભસૂરિના પટ્ટરૂપ સરોવરને વિષે હંસ સમાન તથા શ્રીરામ અને લક્ષ્મીના પુત્ર એવા શ્રી પ્રભાચંદ્રસૂરિએ પોતાના ધ્યાન પર લેતાં શ્રી પ્રદ્યુમ્ન મુનીશ્વરે શોધેલ, પૂર્વર્ષિઓના ચરિત્રરૂપ રોહણાચલને વિષે શ્રી બપ્પભટ્ટિસૂરિના ચરિત્રરૂપ આ અગીયારમું શિખર થયું.
દુષ્કર્મને જીતનાર, પુરુષોત્તમ (કૃષ્ણ) ના પુત્ર, વિશુદ્ધ અક્ષયપદના કારણરૂપ, બૃહસ્પતિ (શિવ) ના ઉન્નતમાર્ગે શોભાને પામેલા એવા શ્રી પ્રદ્યુમ્ન (સૂરિ) નો દેહ કલ્યાણકારી થાઓ.
શ્રી કાન્યકુબ્જના રાજાને પ્રતિબોધ પમાડનાર તથા પૂર્વગત શ્રુત તેમજ નવા પાઠબંધથી સમસ્યા રચનાર એવા શ્રી ભદ્રકીર્તિ મુનીશ્વરની કીર્તિ જગતમાં નૃત્ય કરી રહી છે.