________________
એકરાર થઈ કે, એ છ લાખ કૂકની રકમનો ખરો માલિક જીન વાલજિન નહોતો; એટલે તે રકમ તેણે તેના ખરા માલિકને જલદી પાછી સોંપી દેવી જોઈએ, તથા તેના માલિકને શોધી કાઢવો પણ જોઈએ.
એક દિવસ જીન વાલજિન રજને સમયે ઘર બહાર નીકળ્યો, પણ થોડે દૂર જઈને બેસી પડ્યો. થોડો વખત ત્યાં બેઠા બાદ તે પોતાને ઘેર પાછો ફર્યો તે ફર્યો. હવે તે જીવતો આ ઘર છોડવાનો ન હતો.
કામવાળી બાઈ બહુ ભલી હતી. તે રોજ જોતી કે ખાવાનું ઢાંકેલું એમ ને એમ પડી રહે છે, માત્ર પાણીનું વાસણ તળિયા સુધી ખાલી થયેલું હોય છે. તેણે પોતાના પતિને કહ્યું કે, “આ ડોસા હવે બહુ દહાડા નહીં કાઢે. તેમને તાવ આવતો હોવો જોઈએ; તથા મનનું પણ કાંઈ દુ:ખ છે. મને તો લાગે છે કે, તેમની દીકરી પરણીને ગઈ, એ બાબતનું કાંઈક કારણ હોવું જોઈએ.’
એક સાંજે જીન વાલજન કંઈક વિચાર આવતાં પથારીમાંથી મહાપરાણે ઊયો. પેટીમાંથી કોસેટનાં કપડાંની પેલી જૂની જોડ કાઢીને તેણે ટેબલ ઉપર પાથરી. પછી બિશપની દીવાદાનીઓ કાઢીને નજર સામે મૂકી. ત્યાર બાદ ટેબલ ઉપર કાગળ, કલમ અને ખડિયો લાવીને મૂક્યાં. પણ આટલા શ્રમથી કે તેના અંતરમાં ભેગી થયેલી અને જામી ગયેલી તીવ્ર વેદનાના ભારથી તે ખુરશીમાં જ બેભાન થઈ ગયો. થોડી વારે ભાન આવતાં તેણે કાગળ ઉપર લખવા માંડ્યું: “જે પૈસા છે, તે ખરેખર મારા જ છે; બીજા કોઈના નથી. મેં પણ પ્રમાણિક વેપારધંધાથી પેદા કરેલા છે. મણકા બનાવવાના ઉદ્યોગમાં મેં એક સાદી સીધી શોધ કરી હતી અને તેમાંથી થયેલો એ ન હતો.” પણ એટલું લખતામાં તો તેને ફરી તમ્મર ચડવા માંડ્યાં. તે બોલ્યો, “બસ, હવે