________________
૧૪૨
લે મિરાહ નાયકે કહ્યું, “તમે લોકો મોતથી ડરીને જાઓ છો એમ નથી; પણ આપણી ક્રાંતિની જ્યોત જલતી રાખવા માટે જ જાઓ છો, એમ માનજો.”
પરંતુ ચારે બાજુ ઘેરાયેલી સ્થિતિમાંથી તે લોકોએ નીકળવું પણ શી રીતે? નેશનલ-ગાર્ડનાં ચાર મડદાં ઉપરથી ઉતારી લીધેલાં કપડાં ત્યાં હતાં. ચારને તે પહેરવાનો હુકમ થયો. પણ તેઓ પાંચ હતા, અને દરેક જણ કપડાં વગરનો રહેવા જ તૈયાર હતો?
એટલામાં અચાનક નેશનલ-ગાર્ડના પોશાકની પાંચમી જોડ આકાશમાંથી પડી ! મેરિયસે નજર કરી અને તે જોડ નાખનાર તરીકે કોસેટના પિતાને ઓળખ્યા. જીન વાલજિન તે જ ઘડીએ મોરચામાં દાખલ થયો હતો. મેરિયસે જણાવ્યું કે, “હું તેમને ઓળખું છું, એટલે તેમને મોરચામાં આવવા દેવામાં આવ્યા. તેમની પાસે તેમની પોતાની બંદૂક હતી જ.
પેલા પાંચ જણા રડતા રડતા અને પોતાના અંદર રહેલા બંધુઓને ભેટતા ભેટતા બહાર ચાલ્યા ગયા. હવે જાવર્ટનું પતવવાનું રહ્યું. તેણે પીવાનું પાણી માગ્યું; તે તેને આપવામાં આવ્યું. આખી રાત તે એક થાંભલા સાથે બંધાયેલો રહ્યો હતો; તેણે પોતાને ટેબલ ઉપર આડો પાડી બાંધવાનું કહ્યું. તેની તે વિનંતી પણ સ્વીકારવામાં આવી. તેણે પોતાનો તરત ફેંસલો કરી નાખવાનું પણ કહ્યું, પરંતુ નાયકે જણાવ્યું કે અમારી પાસે ગોળીઓ થોડી છે, એટલે છેવટે જયારે ગોળીઓનો ખપ નહીં રહે, ત્યારે જ તને ખતમ કરવા માટે ગોળી વાપરવામાં આવશે.
જાવટે બંધાતાં બંધાતાં જીન વાલજિનને ઓળખી લીધો હતો. મેરિયસને પણ તેણે ઓળખ્યો હતો. બધા બળવાખોરોને નજરે જોઈને ઓળખી કાઢવા માટે તો તે અહીં આવ્યો હતો. ધીમે ધીમે સવાર પડી ગઈ.