________________
૧૮ મોરચો પડ્યો
મોરચાબંધીના નાયકે બે કલાકના આરામનો હુકમ આપ્યો હતો. મેરિયસને મોરચાના તારણહાર તરીકે સર્વાનુમતે નાયક જેટલા જ હક આપવામાં આવ્યા હતા. નાયક એક બાજુની ગલીમાં થઈને આસપાસના સમાચાર જાણવા બહાર ગયો હતો. મોરચામાં સૌ કોઈને આશા હતી કે, આ વખતે આખું પેરીસ સળગી ઊઠવાનું છે, અને કાલ સાંજ પહેલાં તો રાજસત્તા ઊથલી પડી હશે. પણ નાયકે બહાર જઈ આવ્યા બાદ સૌને ભેગા કરીને જણાવ્યું : પેરીસ શાંત છે; આખું સરકારી લશ્કર બહાર પડ્યું છે. તેનો ત્રીજો ભાગ આ મોરચાને ઉડાવી દેવા ચારે બાજ ગોઠવાઈ ગયો છે. ક્યાંયથી જરા પણ મદદની આશા હવે નથી. લોકોએ આપણને તજી દીધા છે. એક કલાકમાં આ મોરચો હતો-નહતો થઈ ગયો હશે.'
નાયકે ગણતરી કરી, તો ૩૭ માણસો મોરચામાં હતા. તેણે કહ્યું, ‘આપણે અહીં ત્રીસ માણસો જેટલાં સાધનો છે. બાકીનાઓની નાહક કતલ શા માટે થવા દેવી? માટે ત્રીસ જણા જ રહો, અને બાકીના બહાર નીકળી જાઓ.’
પણ કોઈ મોરચો છોડવા તૈયાર થયું નહીં.
છેવટે નાયકે જેઓના ઉપર કુટુંબનો આધાર હોય, તેવાઓને પોતાની મેળે બહાર આવવાનો હુકમ કર્યો. પાંચ જણ બહાર તો આવ્યા; પણ તેઓ મોરચો છોડવા તૈયાર ન હતા.
૧