________________
વીશી કે કિલ્લો?
૫૭ વીશીવાળાના દીવાથી પેલો વણજારો પણ પોતાની પ્રિયતમાની કફોડી સ્થિતિ થયેલી જોઈ, ડૉન કિવકસોટને ગદડવાનું છોડી, તરત સાન્કો ઉપર તૂટી પડ્યો. દરમ્યાન વીશીવાળાએ પેલી બટકીને જોરથી લાતાટવા માંડી. આમ આખા ઓરડામાં લાતાલાતી અને ઠોંસાઠોંસીનું સામ્રાજ્ય જામી પડ્યું. વણજારો સાન્કોને ધીબતો હતો, સાન્કો પેલી બટકીને ગડદાટતો હતો, બટકી સાન્કોને લોથિયાં ભરતી હતી અને વીશીવાળો બટકીને ફટકારતો હતો. બધાં જાણે ટાંચો વખત હોય તેમ ઉતાવળમાં આવી ગયાં હતાં ! દરમ્યાન આ ધમાલમાં કોઈની અડફેટમાં આવી જતાં વીશીવાળાના હાથમાંનો દીવો બુઝાઈ ગયો; અને પછી તો કોણ કોને મારતું હતું તેનું જ ઠેકાણું ન રહ્યું.
તે રાતે એ વીશીમાં ચોર-ડાકૂની તલાશ કરનાર મંડળીના એક અફસરનો ઉતારો હતો. આ બધી ધમાલ સાંભળી તે પથારીમાંથી કૂદકો મારી બહાર નીકળ્યો અને અંધારામાં રસ્તો ફંફોસતો ત્યાં આવ્યો. ઓરડાના બારણા આગળ ઊભા રહી તેણે બૂમ મારી, “ખબરદાર, હું તમને સૌને શાંતિ જાળવવા હુકમ કરું છું.” પછી અંદર પેસતાં તેનો હાથ ડૉન કિવકસોટના ચત્તાપાટ પડેલા શરીર ઉપર પડ્યો. તેને મરી ગયેલો જાણી તેણે વીશીનાં બારીબારણાં બંધ કરી દેવાનો હુકમ કર્યો: “આ મકાનમાં ખૂન થયું છે; અને ગુનેગારની તલાશ કરવી પડશે.”
આ હુકમ સાંભળી બધા લડયાઓના મોતિયા મરી ગયા. વીશીવાળો પોતાના ઓરડામાં ચાલ્યો ગયો, વણજારો પોતાની પથારીમાં, અને પેલી બટકી પોતાના ઘોલકામાં. માત્ર કમનસીબ ડૉન કિવકસોટ અને તેમનો સ્કવાયર જ ખૂબ માર પડયો હોવાથી હાલ્યાચાલ્યા વિના જ્યાંના ત્યાં પડી રહ્યા.
વીશીવાળાએ જતાં જતાં દરવાજા ઉપરનો દીવો પણ ઓલવી નાખ્યો હોવાથી, પેલો અફસર ગુનેગારને ઓળખવા, દીવો લેવા રસોડા તરફ ગયો અને ત્યાં જઈ અંગારા ફૂંકીને દીવો સળગાવવાની વેતરણમાં પડયો.