________________
એવા એકલવીરો જગતમાં સ્તુતિપાત્ર બને છે. પ્રભુદર્શન માટે ઝંખતા ભક્તો, કોઈ આદર્શને સિદ્ધ કરવા ઇચ્છતા સંકલ્પ-વીરો, કોઈ શોધને મૂર્તિમંત કરવા ઇચ્છતા શોધકો-વિજ્ઞાનીઓ, દેશ કે સમાજને આઝાદ કે પ્રગતિમાન જોવા ઇચ્છતા દેશભક્તો અને સમાજસેવકો – એ બધા એ વર્ગના લોકો છે.
એવા બધા જવાબદાર ધૂનીઓ, જેઓ પોતાની જાતને તાવીને કે કસોટીએ ચડાવીને પોતાનું ધ્યેય હાંસલ કરે છે, એવા લોકો તો સમાજમાં જેટલા હોય તેટલા ઓછા. અરે, જે સમાજમાં એવા લોકો ઓછા હોય કે બિલકુલ ન હોય, તે સમાજ વિશે તો આશા જ મૂકવી સારી. અલબત્ત, પોતાના કેવળ સ્થૂળ સ્વાર્થ ખાતર અનેકોને રંજાડવામાં અભૂતપૂર્વ પરાક્રમ કે ખમીર દાખવનારા ચંગીઝખાન જેવા જાલીમો પણ હોય છે. પણ તેમની વાત આપણે પડતી મૂકીએ. તેમને કોઈ રીતે “સારા” કહેવાનો કોઈનો આશય ન હોઈ શકે.
પરંતુ આદર્શને કલ્પીને તેને સિદ્ધ કરવા પરિશ્રમ કરનારા લોકો કરતાં, બીજાનું વાંચી-સાંભળી-જોઈને તે મુજબની કેવળ આકાંક્ષાઓ સેવનારો વર્ગ મબલક હોય છે. તે વર્ગ કેવળ કલ્પનાના ઘોડા દોડાવવામાં શૂરો હોય છે, તે સિદ્ધ કરવા માટે જોઈતી તપશ્ચર્યા કરવાની, પ્રયત્ન કરવાની, કે જોગવાઈ કરવાની દૃષ્ટિ તેમ જ શક્તિ તેને નથી હોતી. “તે હોવી જોઈએ' એ માન્યતાનો અંકોડો જ તેઓમાં ખૂટતો હોય છે. એ અંકોડા સિવાયનું બાકીનું બધું તેમનામાં બરાબર હોય છે! તેઓમાંના કેટલાક પોતાના જાનમાલની પરવા પણ છોડી શકતા હોય છે. એવા લોકો સમાજમાં વધુ પેદા થવા, એ આફત છે. કારણ કે, તેઓ સાચા આદર્શ-ધૂની અને ગાંડા એ બેઉ વર્ગની વચ્ચેના હોય છે. તેઓનું લક્ષ્ય, અલબત્ત, કેવળ સ્વાર્થ-સિદ્ધિ હોવાને બદલે, બીજાનો ઉદ્ધાર કરવાનું પણ હોઈ શકે છે, અને ત્યાં તેમને માટે તથા બીજાઓ માટે મોટું ભયસ્થાન રહેલું છે.
તેવા, પોતાના સમાજના કે રાષ્ટ્રના લાખો કે કરોડો દુ:ખી લોકોને “ઉપર” ઉઠાવવા કેડ બાંધી નીકળી પડનારાઓનો પણ, દરેક દેશમાં કે તેના ઇતિહાસમાં નમૂનો મળી આવે ! ઘણી શુભ નિષ્ઠાવાળી