________________
પ્રાસ્તાવિક માણસમાત્ર કલ્પના-ચક્ષુ વડે સ્વપ્નદ્રષ્ટા છે.
સ્વપ્નમાં વિકલ્પ-વૃત્તિને ચિત્ત છૂટોદોર આપે છે, અને વસ્તુશૂન્ય એવી અવનવી સૃષ્ટિ ઊભી કરીને આનંદ માણે છે.
‘આનંદ’ જ માણે છે, એમ તો ન કહેવાય! કેટલાંય સ્વપ્ન જાગ્રત-અવસ્થાના દ્રષ્ટાને ન રચતાં – કેવળ દુ:ખરૂપ લાગતાં પણ હોય છે: તેને જાણે પરાણે એ દુઃખ અનુભવવું પડે છે! તેથી તો સ્વપ્નઅવસ્થામાં પણ જીવ પોતાનાં કર્મના ફળરૂપ સુખ-દુ:ખ અનુભવે છે, એમ કહેવાય છે.
તેથી કેટલીક વ્યક્તિઓ (– કદાચ બધી જ હશે!) જાગ્રત અવસ્થામાં પણ એવી – પણ મનગમતી – સ્વપ્નસૃષ્ટિ ખડી કરે છે, અને તેમાં યથેષ્ટ મહાલે છે.
એ “દિવાસ્વપ્ન' કહેવાય છે. “દિવા' એટલે દિવસે, અર્થાત્ જાગતાં જ આણેલું “સ્વપ્ન'!
પરંતુ, એ જ દિવા-સ્વપ્ન, જ્યારે લમણે હાથ દઈને બેઠા હોઈએ ત્યારે માત્ર કલ્પનામાં જ દેખાતું મટી, ખરેખરી આંખે પણ દેખાતું થાય, ત્યારે એ એક અજબ-ગજબનો બનાવ થયો કહેવાય. એવી દૃષ્ટિવાળા માણસોને આપણે પછી ગાંડા જ કહીએ છીએ. કારણ કે, તેઓ બાહ્ય સૃષ્ટિને “જેવી છે, તેવી” જોવાને બદલે, તેઓ ‘જેવી જોવા ધારી તેવી’ જોતા થાય છે; અને તે પણ માત્ર કલ્પનાશક્તિના જોરે !
પરંતુ એવા છેલ્લી કોટીના છેક ગાંડા લોકો સિવાયના પણ કેટલાક લોકો આ સૃષ્ટિમાં અવતરે છે, જેઓ ગાંડા ન હોવા છતાં, પોતાની ધૂનમાં મસ્ત રહે છે, અને વાસ્તવિક સૃષ્ટિમાં આવી પડતી હતાશાનિરાશા કે સુખ-દુ:ખને અવગણીને, પોતે નિરધારેલે માર્ગે આગળ ધપ્યા કરે છે; અને ધાર્યા મુજબનું ધ્યેય, સૃષ્ટિમાં પલટો લાવીને પણ, હાંસલ કરે છે.