________________
બિસ્કયન પણ નહીં સાંભળવાનો. કારણ કે, ભગવાનનો કે માણસનો કોઈ કાયદો આત્મરક્ષણ માટે ઊભવાની મનાઈ કરી શકે નહિ.”
ડૉન કિવકસોટે તેના ઉપર હુમલો થાય તો આત્મરક્ષણ માટે લડવાની તેને છૂટ આપી.
આમ વાતો કરતા તેઓ આગળ વધતા હતા, તેવામાં તેમને ઊંટ જેવાં ઊંચાં દેખાતાં બે ખચ્ચર ઉપર સવારી કરીને આવતા બેનેડિકટ* પંથના બે સાધુઓ મળ્યા. તેમણે માં-માથા ઉપર ધૂળ-તડકાથી બચવા બુરખા ઓઢી લીધા હતા, અને માથે મોટાં છત્તર રાખ્યાં હતાં. તેમની પાછળ થોડે દૂર એક કોચગાડી આવતી હતી; તેની આસપાસ ચાર-પાંચ વળાવિયા સવારો હતા તથા સાથે બે ખચ્ચરિયા પગપાળા ચાલતા હતા. કોચગાડીમાં એક બિસ્કયન લેડી પોતાના પતિને મળવા સેવિલે બંદર જતી હતી. ત્યાંથી તેનો પતિ સારા હોદ્દા ઉપર નિમાઈને ઈંડિઝ જવા જહાજે ચડી ઊપડવાનો હતો.
ડૉન કિવકસોટે કાળાં કપડાં ઓઢેલા પેલા સાધુઓને જોયા, તથા પાછળ સ્ત્રી-જનોચિત બંધ કોચગાડી જોઈ કે તરત તેમને ખાતરી થઈ ગઈ કે, આ બે કાળી-વિદ્યા જાણનારા જાદુગરો કોઈ રાજકુંવરીનું બળાત્કારે અપહરણ કરી જાય છે. તેમણે તે પ્રમાણે સાન્કોને કહી સંભળાવ્યું તથા સાબદા થવા જણાવ્યું; કારણ કે, “હવે કોઈ અભૂતપૂર્વ પરાક્રમ તેમના માર્ગમાં આવીને ખડું થયું છે.”
સાન્કો તરત જ આજીજી કરતો બોલી ઊઠ્યો, “માલિક, આ તો પવનચક્કીઓ કરતાં પણ વધુ ભૂંડું પરાક્રમ નીવડશે; કારણ કે, આ લોકો તો માત્ર બેનેડિટ-સાધુઓ છે, અને ઘોડાગાડીમાં કોઈ વળાવિયા સાથેનું મુસાફર માણસ જ હશે.” ' ડૉન કિવકસોટે સાન્કોની મૂર્ખતા ઉપર હસીને જણાવ્યું, “તને ભાઈ, આ બધી બાબતોની શી ખબર? મેં જે કહ્યું છે તે જ સાચું છે, અને તેનો પ્રત્યક્ષ પુરાવો તને હમણાં જ જાણવા મળશે.” આમ કહી તેમણે પોતાના ઘોડાને એડી મારીને આગળ લીધો. પછી રસ્તા વચ્ચે ઊભા
*સેંટ બેનેડિકટે (ઈ. સ. ૪૮૦-૫૪૩) સ્થાપેલા પંથના. તે પંથનાં સાધુ-સાધ્વી કાળા ઝભા ઓઢે છે.