________________
દીક્ષાવિધિ ડૉન ક્વિકસોટે આ સાંભળી, વીશીવાળાને ‘હલકટ, પાજી, દગાબાજ ગઢપતિ’ તરીકે સંબોધ્યો; તથા પોતાની નજર હેઠળ એક “નાઈટ' ઉપર આવો હીન હુમલો થવા દેવાની તુચ્છતા દાખવવા તેના ઉપર ફિટકાર વરસાવ્યો. પેલા વણજારાઓને તો તેમણે પોતાના દિલની ભાષામાં, વિશ્વના દ્રોહી, રાક્ષસોની સેનાના મળતિયા, દુષ્ટ, બદમાશ તથા એક સાચો “નાઈટ' વિશ્વમાં ઊભો થઈ, તે સૌને ડારતો હતો ત્યારે ડરીને એકઠા થઈ તૂટી પડેલા ‘કાયરો' તરીકે સંબોધ્યા.
પેલા વણજારાઓ, હવે વીશીવાળાની સમજાવટથી, તથા થોડુંક તો આ સશસ્ત્ર ગાંડો માણસ શું કરી બેસે તે બાબતના ડરથી, પાછા પડયા, અને ડૉન કિવકસોટ પણ શાંતિથી પોતાનાં શસ્ત્રો માટેની જાગરણવિધિ પૂરો કરવા પહેરો ભરવાના કામે લાગ્યા. અલબત્ત, પોતાના દીક્ષાવિધિના પ્રારંભમાં જ, પોતાની વીરજનોચિત આવી કસોટી થવા લાગી હોવાથી તેમને અંતરમાં પૂરો સંતોષ થયો; તથા અત્યાચારીઓથી પીડિત વિશ્વને પોતાની સેવાઓની કેટલી બધી જરૂર છે, તેની ખાતરી તેમના દિલમાં ખૂબ જ વધી ગઈ.
વીશીવાળાને પોતાના આ વણનોતર્યા મહેમાનનું ગાંડપણ હવે મોં પડી જવા આવ્યું હતું. તેના બે ઘરાકો મરણતોલ ઘાયલ થયા હતા, અને બાકીના સૌ આ ગાંડા માણસને શું કરવું તેની ગડભાંજમાં પડ્યા હતા. એટલે, ધાંધલ વધે નહિ તે પહેલાં આ ગાંડાને ઝટપટ વિદાય કરી દેવાના હેતુથી, વીશાવાળાએ ડૉન કિવકસોટ પાસે આવીને કહ્યું કે, “મારે ત્યાં આવેલા આ બધા પીધેલ અણસમજુ મહેમાનોએ મચાવેલા તોફાન બદલ હું તમારી ઘણી ઘણી માફી માગું છું. પણ તે ભામટાઓને તેમના અપરાધની જે યોગ્ય સજા તમારે હાથે થઈ છે, તે બદલ હું મારા દિલમાં પરમ સંતોષ અનુભવું છું. મારે જોકે, તેમને ગમે તે રીતે સમજાવીને પાછા વાળવા પડ્યા, નહિ તો સમરાંગણમાં તે હિચકારાઓમાંનો એક પણ જીવતો જવાનો ન હતો ! હવે, મેં મારી પાસેના નાઈટ-દીક્ષાના વિધિ બાબતના પુસ્તકમાં વાંચ્યું છે તે પ્રમાણે, અમુક સંજોગોમાં શસ્ત્રજાગરણ બે કલાકનું થાય તો પણ બસ છે; જો કે તમે તો પૂરા ચાર કલાક તે વિધિ પાળ્યો છે. એટલે તમને દીક્ષિત ડૉ–૨