________________
૧૨
ડૉન કિવક્સોટ! થઈ, હું આમ કરી બેઠો છું. છતાં, આપ લોકો ખાતરી રાખજો કે, ભવિષ્યમાં આપના નામ ઉપર કોઈ મહા-પરાક્રમ કરી, આ ઊણપ ભરપાઈ કર્યા વિના હું રહેવાનો નથી.” - પેલી બે બાઈઓને એ મહા-ભાષણમાંનું કાંઈ સમજાયું નહિ; પણ તેમણે તેને એટલું તો પૂછ્યું કે, “તમારે કંઈ ખાવાનો વિચાર છે?” | ડૉન કિવક્સોટે જણાવ્યું, “આ પ્રશ્ન મને યોગ્ય ઘડીએ, યોગ્ય રૂપે, અને યોગ્ય મુખે પૂછવામાં આવ્યો છે, અને મને જે કંઈ આપવામાં આવશે, તે હું મારા સંપૂર્ણ અંત:કરણપૂર્વક જમીશ.”
પરંતુ કમનસીબ એવું કે, તે દિવસે શુક્રવાર હતો; એટલે વીશીમાંથી ધૂળ-ધમા જે કાંઈ વધ્યુંઘટયું જોગવી શકાયું, તે લાવીને વીશી બહાર ખુલ્લામાં ટેબલ ઉપર મૂકવામાં આવ્યું. પરંતુ માથે ટોપ બાંધી રાખેલો એટલે પોતે પોતાના બે હાથે મોઢા આગળનો ભાગ ખેંચીને થોડો ઊંચો કરી રાખે, તો જ ખાઈ શકાય. પછી મોઢામાં ઓરવાનું કામ તો બીજાએ જ કરવું પડે! તેથી પેલી બેમાંથી એક બાઈએ તેમને એ મદદ કરવા માંડી. પરંતુ તે રીતેય કશું પ્રવાહી તો તેમના મોંમાં રેડી શકાય તેમ નહોતું; એટલે વીશીવાળાએ અક્કલ ચલાવીને વાંસની એક ભૂંગળી અણીને તેમના મોંમાં ખોસી આપી. તેમાં પછી ઉપરથી કંઈક પીણું રેડી શકાયું. આ બધું ડૉન કિવકસોટે ખરેખર અજબ ધીરજથી સહન કરી લીધું. કારણ કે, ટોપની દોરીઓ કાપી નાંખવી એ તો તેમને પાલવી શકે તેમ નહોતું.
ભોજન દરમ્યાન, દૂર ખેતરમાં ભૂંડણોનાં બીજાશય ખસી કરનારા એક ભરવાડે પોતાનો પાવો ચાર-પાંચ વખત વગાડયો. એટલે ડૉન કિવકસોટને ખાતરી થઈ કે, પોતે ખરેખર કોઈ દરબાર-ગઢમાં જ આવેલા છે, જ્યાં મહેમાનો ભોજન લે ત્યારે સંગીતથી તેમનું મનોરંજન કરાય છે. પોતે આજે જ વિજ્ય-પ્રસ્થાન કર્યું, અને પહેલી જ વાર રાતે પોતાને એક ગઢપતિ તથા ઉમરાવ-બાનુઓ તરફથી આવું બહુમાન મળ્યું, તે વિચારી તે ધન્ય ધન્ય થઈ જવા લાગ્યા. માત્ર એક જ ઊણપ તેમને સાલવા લાગી, અને તે એ કે, હજુ તેમનો નાઈટ તરીકે વિધિસર દીક્ષાવિધિ થયો ન હતો.