________________
૯
વિજયપ્રસ્થાન
એ જટિલ મુશ્કેલીનો આવો સુંદર ઉકેલ આવી જતાં, તેમણે હળવે હૈયે, ઘોડાને પોતાની રીતે, પોતાની ઝડપે, અને પોતાને મનફાવતા રસ્તે જવાની છૂટ આપી દીધી.
આખો દિવસ કશું પરાક્રમ કરવાનું મળ્યા વિનાનો જ પૂરો થવા આવ્યો. એ વસ્તુ ખરેખર હતાશાજનક કહેવાય ખરી. તેમણે વાંચેલી ચોપડીઓમાં આવા ‘ખાલી’ ગાળા કોઈને આવેલા તેમણે વાંચ્યા નહોતા. ચોપડી શરૂ થઈ કે પરાક્રમોની જ ભરમાર વરસવા માંડેલી જણાતી.
તે તથા તેમનો ઘોડો બંને થાકી ગયા હતા; – ભૂખે મરવા લાગ્યા હતા, એમ પણ કહી શકાય. ડૉન કિવકસોટે હવે આસપાસ કોઈ ગઢકિલ્લો શોધવા કે ભરવાડનો વાડો શોધવા નજર નાંખવા માંડી, જ્યાં તે આરામ લઈ તાજા થઈ શકે.
એટલામાં દૂર દૂર તેમને વીશીનું એક મકાન દેખાયું. તેમણે હવે રાજી થતાં થતાં તે તરફ પોતાનો ઘોડો લીધો. સાંજ પડવાની તૈયારી થઈ હતી. તે વખતે વીશીના બારણા પાસે બે જુવાન ચપલાઓ ઊભી હતી. તેઓ એ વીશીમાં તે દિવસે જ ઊતરેલા વણજારાઓના સથવારામાં સેવિલ તરફ કાંઈ રોજગારની શોધમાં જવા નીકળી હતી.
ડૉન કિવકસોટને તો દિવ્યદૃષ્ટિથી એ વીશીનું મકાન ચાર મિનારાવાળો એક ગઢ જ દેખાવા લાગ્યો; તેની આસપાસ જાણે ઊંડી ખાઈ છે, અને તેના ઉપર થઈને જવા માટે ખેંચી લેવાય તેવો પુલ છે. એટલે ચોપડીઓમાં વાંચ્યા પ્રમાણે, તે એવી આશા રાખવા લાગ્યા કે, પોતે ગઢના દરવાજા પાસે જઈને ઊભા રહેશે એટલે તરત બુરજ ઉપર કોઈ વામણો નીકળી આવશે અને ‘નાઈટ’ને પધારેલા જોઈ, ગઢની અંદર ખબર આપવા મોટેથી રણશિંગું ફૂંકશે. પરંતુ એવું કંઈ બન્યું નહિ, અને રોઝિનૅન્ટી તો ઝટ તબેલા તરફ જવા ખરીથી જમીન ખણવા લાગ્યો; એટલે ડૉન કિવકસોટે તેને વીશીના બારણા તરફ આગળ લીધો. ગઢના દરવાજા પાસે ઊભેલી બે સ્રીઓને તેમણે બે જુવાન ઉમરાવજાદીઓ સંધ્યા-કાળની ખુશનુમા હવા ખાવા ઊભી છે, એમ માની લીધું. તે. જ ઘડીએ અચાનક એક ભરવાડે પોતાના ભૂંડના ટોળાને સમેટવા પોતાનું શીંગડું ફૂંકયું. ડૉન વિકસોટ, તે અવાજને પોતાના