________________
ભાવિ ‘નાઈટ'નું ઘડતર ફડચાડિયાં કરીને,-ટૂંકમાં મેં તેને હરાવ્યો; તો પછી તે જ્યારે પોતાને જીવતો જવા દેવા કાલાવાલા કરવા માંડે, ત્યારે મારે કઈ પ્રેમ-રાજ્ઞી પાસે જીવતદાન માગવા, ક્ષમા માગવા, તથા મારા પરાક્રમની પ્રત્યક્ષ સાબિતી લઈ જવા તેને મોકલવો? –જેની પાસે જઈ, તે પગે પડી, ધૂળ ચાટી, પ્રાર્થના કરતો કહે કે –“હું જગવિખ્યાત મહારાક્ષસ ફલાણો, ફલાણા મહાદ્વીપનો માલિક, તેને પહેલી જ લડાઈમાં આપના મહાવીર, ‘નાઈટ ડૉન કિવકસોટ લા-માંશાએ – જેની બહાદુરીનાં વખાણ કર્યા કરાય તેમ નથી – તેણે પરાજિત કર્યો છે અને આપનાં ચરણોમાં મોકલી આપ્યો છે, જેથી આપ આપની મરજીમાં આવે તેવી મારી ગત કરી શકો.”
સદ્ભાગ્યે તે રહેતા હતા તેની નજીકના ગામમાં એક ખેડૂત-કન્યા રહેતી હતી. પહેલાં તેમની “નજરમાં તે આવી ગઈ હતી; પણ તેમના તરફથી જેમ તેને કદી કશી જાતનું કહેણ ગયું ન હતું, તેમ તેને પોતાનેય એ બાબતનો કશો ખ્યાલ ઊભો થયો નહોતો. તેનું નામ આલ્ડોક્ઝા લૉરેન્ઝો હતું. ઠાકોર સાહેબે તેને પોતાના હૃદયનું સામ્રાજ્ઞી-પદ એકદમ અર્પી દીધું. પરંતુ તો પછી કોઈ રાજકુમારી કે ઉમરાવજાદી જેવું તેનું નવું નામ પણ વિચારી લેવું જોઈએ ! છેવટે તેમણે ઘણી ઘણી માથાકૂટ કે માથાફોડ કર્યા પછી તેને માટે “ડુલસિનિયા' નામ પસંદ કર્યું અને તેના ગામના નામને આવરી લેતો “ડેલ ટૉબોસો ભાગ તેની પાછળ જોડી, આખું નામ ‘ડુલસિનિયા ડેલ ટૉબોસો’ નક્કી કર્યું. એ નામ બોલતાં બોલતાં જ તેમને એટલું પ્રિય, આહલાદક અને ઉત્તેજક લાગ્યું, કે પોતાની વિજ્યયાત્રાની બધી સિદ્ધિ તેમને હાથવેંત લાગવા માંડી.