________________
અને વિશેષ તો એ કે, પર-પ્રજાના બંધનમાં પણ તે સ્પેન-વાસીએ પોતાની પ્રજાની આદર્શ ભાવના જોઈ, પ્રજાત્મમુક્તિ અનુભવી હશે. કારણ કે, ડૉન-કથા પ્રેમશૌર્યાદર્શની તત્કાલીન ભ્રષ્ટતા અને વર્તમાન વ્યર્થતા નથી નિરૂપતી; બલ્ક, તે દ્વારા એ તો ઢંકાયેલા પ્રજાત્માને તેના ભ્રષ્ટ ઢાંકણથી જ પ્રકાશમાં લાવે છે – “તરણા ઓથે ડુંગર’ને દેખાડે છે! આથી જ કરીને, તે ગ્રંથ સ્પેનની પ્રજાનું ‘રામાયણ’ બન્યો: તેનાં પાત્રો ત્યાંના સમાજનાં સનાતન પ્રતીકો પેઠે ચાલતાં હશે! આ વસ્તુ-તત્ત્વ ડૉન-કથાની અમરતાનું બીજ છે. એ માટે હાસ્ય-રસનું વર્ણન એને અપાયું, તેથી બીજ સુકાઈ જઈ કે સડી જઈ નિર્જીવ નથી બનતું. કારણ, એની ભ્રમજ્ઞાનવૃત્તિ છોડીને જુઓ, તો ડૉન એક આદર્શપ્રેમી, પ્રેમશૂરો, ધીરોદાત્ત, અને સ્વમાની પુરુષ છે: માથે હાથમાં લઈને ચાલતો બલિદાનવીર પરગજુ ક્ષત્રિય છે. અને માનવતાનું હાર્દ આ ગુણો તો છે. તે માણસ પૂરો ‘જેન્ટલમેન’ – સજજન છે – ઈમાનદાર, શરીફ, અને નેકદિલ!
સર્વાન્ટિસે ડૉનના ઉચ્ચકાય પાત્ર વાટે આવો અમૂર્ત કે સૂક્ષ્મ ઉચ્ચચરિત માનવ આલેખ્યો છે. એટલે કે, પોતાના અંતરાત્મામાં એ રૂપે પોઢેલો જોયો, અને તેને આ ગ્રંથ દ્વારા અક્ષરદેહ આપ્યો. ડૉન-કથા એવા ઉદારચરિત કલ્પ-પુરુષની જીવન કથા છે, કે જેનું સ્વપ્નદર્શન એણે જેલ-નિદ્રામાં જોયું.
આ તેના દર્શન અને ક્લનનું તત્ત્વ છે. એના પ્રત્યે ઊંડા સર્ભાવસમભાવપૂર્વક,—અરે, તેના અભાવદર્શી વર્તમાન દ્વારા!– એવાં વિસંવાદ ચક્ષુથી, – તે જુએ છે. તેથી પોતાના ઇષ્ટદર્શના વર્તમાન અભાવ વિષે ધૃણાભાવ કે અસહાનુભૂતિને બદલે, વિનોદી સહાનુભાવ જન્મે છે – કે જે હાસ્યરસનું સાત્ત્વિક બીજ છે.
૧૧ હવે “ભદ્રંભદ્ર' જુઓ. તો એ કથા કેમ ચિરંજીવ ન બની શકી કે કોઈ ઉદાત્ત આદર્શની છાપ ન પાડી શકી, તે જણાતાં, ડૉન-કથાના ચિત્રણને અચ્છો ઉઠાવ મળે છે. “ભદ્રંભદ્ર”ના જનકને તે બ્રહ્મદેવ