________________
. ૩૦ વેરાન અને અનઘડ હોઈ, તે જે પેદા કરી શકે, તે સાવ મંદ, તદ્દન ઉદ્ધત ને અપ્રસ્તુત તથા કલ્પનામાંય ન આવે એટલું બધું અધ્ધરતાલ ન બને તો બીજું શું સંભવે? મિત્ર વાચક, એમ માનજે કે, કોઈ ખિન્ન વિષાદમય કારાવાસમાં પુરાઈને સબડતા વણસેલ-ચસકેલ માનસની ગરબડનું બાળક એ છે. . . . .” નવલ-કૃતિ તેના સર્જકની પ્રતિકૃતિ હોય જ; છૂટક તૂટક અનુભૂતિઓની હારમાળા રૂપી એ ફૂલગૂંથણીમાં, – ‘સૂત્રેમણિગણા-ઇવ’ પોતે સૂત્રધાર છે જ. અને સર્વાન્ટિસ એનો જ એકરાર કરે છે, અને આપણને ઉપરની એની વક્રોક્તિમાં, ડૉન-માહાત્મ મૂળ મારું (લેખકનું) અલ્પામ્ય જ હોઈ શકે છે, એવી સાવધાની આપે છે, અને અંતે તે કહે છે કે,
પ્રિય વાચક, સિહાસને બેઠેલ કોઈ નૃપાળ જેવો જ તું તારા ઘરનો રાજા છે. તું સ્વતંત્ર છે અને ધનવાન છે; તેથી, સ્વતંત્ર રીતે, તને કોઈની કૃપા કે વગની પરવા ન હોય. તેથી, સ્વતંત્ર રીતે, તને તારો વિનોદાત્મા (“ઘૂમર') દોરે તે મુજબ, આ મારી કૃતિને પસંદનાપસંદ કરજે.” | સર્વાન્ટિસ મૂર લોકોની જેલમાં હતો. ખબર એવી મળે છે કે, ડૉન-કથા તેણે આ બંધન-વાસમાં લખી હશે. નિદ્રા-કેદમાં પડેલા જીવનો સ્વપ્નવિહાર કેવો અદ્ભુત હોય છે! તેમ જ, જેલ-વાસની કેદમાં પડેલા નાગરિક-જનનો જગતજીવન-વિહાર કેવો ઉદ્દામ અને મુક્ત હોય છે, તે એના અનુભવીઓ જાણે છે. સર્વાન્ટિસ તો એકલો અને શત્રુ-જેલમાં લાંબું ગોંધાયો હતો. તે દિશામાં તેના પ્રજાત્માએ જે પરાક્રમ-જીવન ઝંખ્યું, તેને એની વર્તમાન લાચાર બંધન-દશાની જડ નિ:સતાનાં ચશ્માંથી જોયું,– અને તે તેની વિદૃશ વિસંવાદિતાની સચોટ તુલનામાં. આથી હાસ્ય તો તેમાં આપોઆપ ગ્રથિત થયું અને કેદી સર્વાન્ટિસની વિષાદ-રાત્રિમાં વિનોદાનંદનો આવો હાસ્ય-પ્રકાશ તેને જ કેવો ધારક-તારક મનોરંજક નીવડ્યો હશે! ડૉન કથાનાં કેટલાંય કથાનકો લખતાં લખતાં, તેમના પર પોતે જ હસતો ને રાચતો કલ્પી શકીએ!