________________
પૂર્ણાનુવાદક ખાસ સ્પેનયાત્રા કરી આવ્યા, તેથી તેમની પાસેથી એટલું જાણવાનું સહેજે મન થાય કે, સ્પેનના લોકો, ૧૬મા સૈકામાં જન્મેલા તેમના દેશબંધુ લેખક અને તેમણે જન્માવેલા આ અમર મહાપુરુષની ‘રામાયણ’ ઉપર, સૈકાથી ચાલુ, આટલા બધા આફરીન શાથી છે વારુ? સ્પેનમાં આજે “ચોરે ચકલે ડૉનનાં પૂતળાં વેચાય; ત્યાંની નેશનલ લાઈબ્રેરીમાં તથા ફિલિપ્સના પુરાણા આલશાન મહેલમાં ડૉન વિશે સંઘરાયેલાં પુસ્તકો જોઈ ભલભલા આભા બની જાય.” ઇ૦ ઇ૦ જોવા જાણવા મળે, એ આ ડૉન-કથાના કયા અતૂટ જાદુથી વાર? સ્પેનનો સમાજ નજરે જોઈને આ વિશે કાંઈક પ્રકાશ પાડવા જેવો ખરો. જોકે, સતત સનાતન હાસ્યનો સ્વયંપ્રકાશ ઓછો છે કે, અન્ય-રસાશ્રયી પ્રકાશ ખોળવો?–એમ કદાચ કહેનાર કહે!
અને આ નવલકથાએ, તે જન્મી તે જ દિવસથી, સ્પેનને જ નહીં, આખા યુરોપને ગાંડું ગાંડું કરી મૂક્યું; જે દશા આજ સુધી, ધીર-ગંભીર બનેલા હાસ્ય રૂપે ચાલુ છે! અને તે પછી દુનિયાભરમાં યુરોપવાળા તેમનાં વહાણો પર ચડીને લૂંટાલૂંટ કરતા ફરી વળ્યા, તેથી તે કથાના રસની લૂંટ દુનિયામાં જ્યાં ત્યાં પહોંચાડી. આ વસ્તુનું વિશ્લેષણ કરવા પાછળ ભલભલા કલા-વિવેચકોએ પોતાની રસંદ્રિયશક્તિ ચલાવી છે. ઈશ-ગુણગાન પેઠે, ડૉન-ગુણગાનાર્થે તેમના દ્વારા શાહી અને કાગળને કેટકેટલો ખર્ચ થતાં છતાં, તેઓને પ્રવાહ પૂરો નથી થતો!
તેનો તાજો પુરાવો- આ એક નહીં બે,-એક પૂર્ણ અને બીજો સારાંશ, – અનુવાદો!
અરે, સર્વાન્ટિસે પોતે જ પોતાની કથાની પ્રસ્તાવના લખીને એના કલ્પ-સૂત (ભૂલમાં આને “કલ્પસૂત્ર' ન વાંચતા!) ‘કિવકસોટ' અંગેની આ મૂંઝવણ વ્યક્ત કરતાં શરૂમાં જ કહ્યું છે કે, “આ મારી કથાકૃતિ વિશે, હે પ્રિય વાચક, તને શું કહું? એ લખવામાં મેં કાંઈક સમય તો આપ્યો જ છે. પરંતુ, છાતી ઠોકીને તને કહું છું કે, તેની આ