________________
१९
પ્રથમ ભાગ જાન્યુઆરી, ૧૬૦૫માં પ્રસિદ્ધ થયો; પણ એ વર્ષ પૂરું થયું એ પહેલાં કૅસ્ટિલેમાં જ તેનાં ચાર પુનર્મુદ્રણ થયાં. અને પ્રથમ બાર માસમાં જ પોર્ટુગલમાં તે બે વખત છપાયું.
૧૬૦૫માં વૅલેન્શિયામાં એની ઓછામાં ઓછી એક ચોર-આવૃત્તિ પણ છપાઈ અને ૧૬૦૭ લગોલગ બ્રસેલ્સમાં તે પ્રસિદ્ધ થયું. બીજે વર્ષ તો પૅરીસમાં તથા હૅમ્બર્ગમાં પણ તે છપાયું. એ જ અરસામાં ઇટાલિયન આવૃત્તિ પણ પ્રસિદ્ધ થઈ. ઈંગ્લેંડમાં એ પુસ્તકની કદર થતાં વાર ન લાગી અને ૧૬૧૧માં શેલ્ટનનો અનુવાદ પ્રગટ થયો. પછી ૧૬૧૫માં ‘ડૉન કિવકસોટ’નો બીજો ભાગ પ્રસિદ્ધ થયો ત્યાર પહેલાં તો યુરોપના બધા જ અગત્યના દેશોમાં તેની રાહ જોઈ રહેનારા હજારો વાચકો ઊભા થઈ ગયા હતા. અને લેખકના મૃત્યુ પહેલાં, એ પુસ્તકના બંને ભાગ ભેગા તો જગતના લગભગ બધા સંસ્કારી દેશોમાં પ્રકાશિત થઈ ચૂકયા હતા!
અને આ લેખકે ‘ડૉન કિવકસોટ' લખ્યા પહેલાંનાં વીસ વર્ષ દરમ્યાન છૂટાંછવાયાં થોડાંક કાવ્યો અને એક અધૂરી કથા ‘ગૅલેશિયા’ સિવાય બીજું કાંઈ સર્જન કર્યું ન હતું! કદાચ એ વીસ વર્ષ દરમ્યાન જે દુ:ખ-સંકટ-તંગી વગેરે એ લેખકને વેઠવાનાં આવ્યાં, તે વડે જ લેખક તરીકેની તેની સફળતાનાં મૂળ નંખાયાં હતાં. અલબત્ત, એ વીસ વર્ષના ગાળાની શરૂઆતમાં થોડાં નાટકો તેણે લખ્યાં હતાં, પણ તે સફ્ળ નીવડયાં ન હતાં. કદાચ તેનું કારણ એ હતું કે, પ્રસિદ્ધ નાટ્યકાર લોપ દ વેગા તે વખતે સ્પેનનાં બધાં થિયેટરોને પોતાનાં સફળ નાટકો પૂરાં પાડી રહ્યો હતો.
‘ડૉન કિવકસોટ’નો પહેલો ભાગ આટલો સફળ નીવડયો, છતાં તેના લેખકને તેમાંથી કશી વિશેષ આવક થઈ લાગતી નથી. કારણ કે, થોડાં વર્ષ બાદ પોતાની “દૃષ્ટાંતરૂપ નવલકથાઓ’ના હકો તેણે ૧,૪૦૦ રિયલ, અર્થાત્ લગભગ ૫૦૦ ડૉલરમાં વેચી નાંખ્યા હતા.
સર્વાંત ‘ડૉન કિવકસોટ'નો પહેલો ભાગ લખ્યા પછી, એક દસકો જીવ્યો. પરંતુ તે દરમ્યાન ‘ડૉન કિવકસોટ’ને મળેલી સફળતાથી પ્રેરાઈ, તેણે કંગાલિયત, બીમારી અને વૃદ્ધાવસ્થાનો સામનો કરી, તે પુસ્તકનો