________________
૧૫૦
ડૉન કિવકસોટ! આકાશી સત્ત્વોની મદદથી તમને ગિરફતાર કરી આ પાંજરામાં પુરાવ્યા છે, જેથી વિશ્વની બીજી સુંદરીઓ પોતાનાં ખોટાં ખોટાં બહાનાંવાળાં આકર્ષણોથી તમને દૂર ખેંચી ન જાય. તમારા વફાદાર સ્કવાયરની સેવાઓથી ખુશ થઈ તેનું ભવિષ્ય પણ હું ભાખું છું, તે એ સાંભળી લે – તારે માટે પણ નજીકના દિવસોમાં જ બહુ મોટી પદવી નિર્માણ થઈ છે અને તને તારા માલિકે આપેલાં વચનો કરતાં પણ વધુ મોટો વૈભવ અને હોદ્દો પ્રાપ્ત થવાનાં છે. માટે તું પણ તત્પર થઈને તારા નાઈટને તેમના લગ્ન-મંડપ તરફ રાજી થઈને લઈ જવામાં મદદગાર થા: હું હવે તમો બંનેની વિદાય લઉં છું. મેં જે કહ્યું છે તે કહ્યું છે! અલવિદા, આ જમાનાના મહા નાઈટ ! સલામ !”
ડૉન કિવકસોટ આ આકાશવાણીથી એટલા બધા પ્રભાવિત થઈ ગયા તથા સાન્કો પણ પોતાને માટે ભખાયેલા ભવિષ્યથી એટલો બધો રાજી થઈ ગયો કે, બંને જણ એ આકાશવાણીના હુકમ પ્રમાણે વર્તવા તૈયાર થઈ ગયા.
ચારેક દિવસની મુસાફરી પછી, બીજા માણસો સાથેની વાતચીત ઉપરથી સાન્કોને વહેમ ગયો કે, તેના માલિકને છેતરીને, પાંજરામાં પૂરીને, ગામ પાછા લઈ જવાની જ આ તો પાદરી-બુવાની તથા હજામની તરકીબ છે. એટલે તેણે ધીમે રહીને ડૉન કિવક્સોટને આ વાત કરી દીધી. પછી એક યુક્તિ વિચારીને, તેમને કુદરતી હાજતને બહાને પાંજરા બહાર કાઢવાનો તેણે આગ્રહ કર્યો, તથા પોતે તેમની બરાબર ચોકી રાખશે એમ પણ કહ્યું. પાદરી-બુવા ભ્રમમાં રહ્યા, અને રાતને વખતે એક જગાએ ઉતારો કર્યો હતો ત્યારે તેમને પાંજરામાંથી છૂટા કરવામાં આવ્યા. સાન્કોએ તેમનો ઘોડો તથા તરવાર વગેરે દૂર તૈયાર રાખ્યાં હતાં, અને પોતે પણ દૂર ઊભો રહ્યો હતો. પણ બનવાકાળ તે એ જ વખતે પાસેના ગામડામાંથી સફેદ વસ્ત્રો પહેરેલા ગામડિયાઓ, વરસાદ પડતો ન હોવાથી, ગાતા ગાતા, એક મૂર્તિને કાળા કપડામાં વીંટી, પાસેની ટેકરી ઉપરના મઠ જેવા સ્થાનકે લઈ જતા હતા.
ડૉન કિવકસોટે તેમને જોઈ, તરત માની લીધું કે, આ ભૂતાવળ કોઈ સ્ત્રીને ઉપાડી લઈ જાય છે. તેમણે દૂર ઊભેલ રોઝિનેન્ટી ઉપર બેસી,