________________
વીશીમાં શું બન્યું?
૧૩૭ વીશીવાળાએ જવાબ આપ્યો, “ચાર ઘોડેસવાર છે, ભાલા-ઢાલ સાથે! એક બાઈ એકલી બુરખા સાથે જરા અલગ સવારી કરીને આવે છે; અને બે પગપાળા નોકરો છે. એ નોકરો જ બુકાની બુરખા વિનાના છે; બાકી પેલા બધા સવાર બુકાનીબંધ છે!”
એ બધું ટોળું વીશી આગળ આવી પહોંચતાં જ ડૉરોધિયા અને કાર્ડિનિયો ડૉન કિવકસોટવાળા ઓરડામાં ચાલ્યાં ગયાં. પેલા ચાર ઘોડેસવારોએ બુરખાવાળી બાનુની પાસે જઈ તેને નીચે ઊતરવામાં મદદ કરી. એ ઘોડેસવારોમાંનો એક જણ તેને હાથમાં ઊંચકી વીશીની અંદર લઈ આવ્યો; તેણે તેને પેલા ઓરડાના બારણા પાસે પડેલી ખુરશીમાં બેસાડી.
પેલી બાઈએ ખુરશી ઉપર બેસતી વખતે ઊંડો નિસાસો નાખ્યો. પછી લગભગ બેભાન બની ગઈ હોય તે રીતે હાથ લબડતા રાખી તે ખુરશીમાં ઢળી ગઈ.
પાદરી-બુવાએ આ બધાનો વિચિત્ર દેખાવ જોઈ, પાસે તબેલામાં જઈ, તેઓ ક્યાંથી આવ્યા છે અને ક્યાં જાય છે, એમ પેલા બે નોકરોને પૂછ્યું.
નોકરોમાંના એક જવાબ આપ્યો, “અમે પણ કશું જાણતા નથી. પેલાં બાનુને ઉપાડીને જે અંદર લઈ આવ્યા, તે મહાશયે અમને રસ્તામાંથી ભાડે કરી લીધા છે. અમે એ બાજુનું મોં જોયું નથી, તથા આખે રસ્તે તે એક શબ્દ પણ બોલ્યાં નથી. અમારે ઍન્ડેલુશિયા સુધી તેઓની સાથે જવાનું છે, અને અમને સારા પૈસા મળવાના છે. અમે બે દિવસથી તેઓની સાથે મુસાફરી કરીએ છીએ. પણ અમને તેઓ વિષે વધુ કશી માહિતી સાંપડી નથી.”
પણ તે લોકો અંદર અંદર વાતચીત કરતા હશે, તે ઉપરથી પણ તમને કંઈક કલ્પના ગઈ હશે ને?” પાદરી-બુવાએ સમજાવીને પૂછયું.
પણ એ લોકો એક શબ્દ પણ બોલ્યા હોય તો ને? એ બાઈ તેનાં કપડાં ઉપરથી સાધુડી જેવી લાગે છે, પણ તેના દુ:ખના નિસાસા ઉપરથી એમ લાગે છે કે, તેને પરાણે સાધુડી બનાવવા લઈ જાય છે.”