________________
બંદીવાનોની મુકિત પેલા અફસરે તે કાણિયાને એક ગાળ ભાંડીને કહ્યું, “એ બદમાઅને તમે બુદ્ધિશાળી કહો છો, મહાશય? એનાં કરતૂતો સાંભળીને તો પથ્થરો પણ ફાટી પડે.”
પેલાએ અફસરને પોતાને માટે ગમે તેવી ભાષા ન વાપરવાની તાકીદ આપી અને કહ્યું કે, “મારા ગુના પકડાઈ ગયા એટલે હું પાપિયો છું, અને તમારા બધાના ગુના છુપાઈ રહ્યા છે એટલે તમે બધા સતા છો કેમ? ભલા ભલા પ્રતિષ્ઠિત થઈને ફરતા તમારા જેવા કેટલાયના એવા એવા ગુનાઓ હું જાણું છું, જેમની આગળ મારાં કૃત્યો તો પુણ્યકૃત્યો જ લાગે. ઉપરાંત તમે લોકોએ મને પકડયા પછી પણ નાહક ખૂબ માર માર કર્યો છે; પરંતુ યાદ રાખજો દશ વર્ષ તો આંખ મીંચતાંમાં વીતી જશે, પછી તમો સૌનો હિસાબ હું રજેરજ ચૂકતે કરવાનો છું.”
પેલો અફસર આ ધમકીના શબ્દો સાંભળી એકદમ ગુસ્સે થઈ ગયો. તે તરત પોતાનો દંડો લઈ પેલા ઉપર તૂટી પડ્યો. પરંતુ ડૉન કિવકસોટે વચ્ચે પડી અફસરને કહ્યું, “આમ હાથપગ બાંધેલા માણસો ઉપર હથિયારો સાથે હુમલો કરવો, એમાં મરદાઈ નથી.” પછી તેમણે પેલા કેદીઓને સંબોધીને કહ્યું, “ભાઈઓ, તમે બધાએ ગુનાઓ કર્યા હશે અને તમને સજા થઈ હશે; પણ એ સજાનો અમલ આમ બળજબરીથી કરવામાં આવે એ મને મંજૂર નથી; કોઈ પણ માણસ ઉપર બીજો માણસ બળજબરી વાપરે અને મારા જેવો નાઈટ જોઈ રહે, એમ બનવું શક્ય નથી. એટલે હું તમો સૌ વતી આ અફસરોને પ્રથમ તો વિનંતી કરીને કહું છું કે, તમને સૌને અબઘડી જ છોડી મૂકે, પણ જો તેઓ મારી વિનંતીને નહિ ગણકારે, તો પછી મારે નાછૂટકે તેઓ સામે શસ્ત્ર ઉગામવાં પડશે. તેઓ શસ્ત્રધારી છે, એટલે તેઓ સામે શસ્ત્ર ઉગામવામાં મને કશી નાનમ લાગવાની નથી.”
પેલી અફસર હવે પરિસ્થિતિને આવો વળાંક લેતી જોઈ ચોંકયો, અને તેણે રાજાજીના હુકમથી ડૉન કિવક્સોટને સીધા પોતાને રસ્તે ચાલ્યા જવા ફરમાવ્યું–‘નહિ તો તારી ખેર નથી,’ એમ પણ કહ્યું.
'ડૉન કિવકસોટે આ સાંભળી એકદમ એવા જુસ્સાથી તેના ઉપર હુમલો કર્યો કે, તે પોતાનો બચાવ કરી શકે તે પહેલાં તો તે તેમના