________________
ડૉન કિવકસોટ! પેલા અફસરે જ હસતાં હસતાં ખુલાસો કર્યો કે, “ઢોર - ચોરીના ગુનાસર તેને પકડવામાં આવ્યો હતો, પણ તે નામુક્કર જતો હતો એટલે તેને જતરડામાં ઘાલી રિબાવવામાં આવ્યો. તે વખતે એ બધું માની ગયો. તેથી તેના સાથીઓ મશ્કરીમાં તેને “ગાવા બદલ સજા થઈ” એમ કહે છે. જાણે, જતરડામાં ઘાલ્યા પછી, ‘હા’ની જેમ ‘ના’ કહેવું પણ સરખું જ સહેલું હોય !”
ત્રીજા કેદીને પૂછતાં તેણે જવાબ આપ્યો, “મારી પાસે વીસ યૂકેટ ન હોવાથી મને પાંચ વરસની સજા થઈ છે.” ડૉન કિવકસોટે તરત તેને વીસ ડયૂકેટ કાઢી આપવા તૈયારી બતાવી; ત્યારે તેણે જવાબમાં કહ્યું કે, “હું પકડાયો તે વખતે લાંચ આપવાના કે વકીલ કરવાના વીસ ડયૂકેટ મારી પાસે હોત, તો હું છૂટી ગયો હોત –એટલું જ મારા કહેવાનો અર્થ છે. અત્યારે વીસ ડયૂકેટ મને આપો તેથી કંઈ વળે નહિ.”
ચોથો કેદી તો એક ઘરડો માણસ હતો. તેની સફેદ દાઢી તેની છાતી સુધી પહોંચતી હતી. તેને ડૉન કિવકસોટે પૂછયું, ત્યારે તે રડવા જ લાગી ગયો. પછી થોડી વારે તે બોલ્યો, “તડપતાં હૃદયો શાંત થાય અને તૃપ્ત થાય એવા શુભ હેતુથી જુવાનિયાને ભેગાં કરી આપવાનું પુણ્ય-કાર્ય કરવા બદલ મને આ સજા થઈ છે.” ખુલાસો કરવાની જરૂર નથી કે, તે લોહીનો વેપાર કરનારો વેશ્યા-દલાલ હતો.
પાંચમો કેદી પોતાની બે કુંવારી બહેનો તથા બીજી બે પિત્રાઈ બહેનો સાથે વ્યભિચાર કરવાના ગુનાસર પકડાયો હતો. છઠ્ઠા કેદીને બીજા કેદીઓને હિસાબે આડી અવળી અને વજનદાર વધુ બેડીઓ નાખવામાં આવી હતી. તે ત્રીસેક વર્ષનો શક્તિશાળી જુવાન હતો, તથા એક આંખે કાણો હતો. તે એ ભાગમાં રીઢા ગુનેગાર તરીકે જાણીતો હતો અને પહેલાં પણ ચાર વર્ષની સજા પામી આવેલો હતો – પણ જેલમાંથી ભાગી છૂટવા બદલ આ વખતે તેને દશ વર્ષની કેદ થઈ હતી. તેણે મોજથી પોતાનાં પરાક્રમ કહી બતાવવા માંડ્યાં. ડૉન કિવકસોટ તેથી બહુ પ્રભાવિત થઈ ગયા અને આવા બુદ્ધિશાળી માણસને જેલમાં પૂરવા બદલ ખેદ વ્યક્ત કરવા લાગ્યા.