________________
ડૉન કિવકસોટ!
બંનેમાંથી એકે જણમાં આશા કે ઉત્સાહનું એક ટીપું પણ રહ્યું નહોતું. તેવામાં અચાનક, દૂર અંધારામાં તેમણે દીવાઓનું એક મોટું ઝુંડ પોતા તરફ આવતું જોયું. સાન્કોના તો તે જોઈને મોતિયા જ મરી ગયા; કારણ કે આવા નિર્જન એકાંતમાં અંધારી રાતે આવા બધા દીવા કોઈ ભૂતાવળના જ હોય!
ડૉન કિવકસોટે હવે અજબ ઉત્સાહ ધારણ કરી, સાન્કોને કહ્યું, “હવે આખા નરકની ભૂતાવળ ઠલવાઈને આપણી સામે દોડી આવે તો પણ તારે ગભરાવાની જરૂર નથી. પેલી માયાવી વીશી આગળ તો તારી ને મારી વચ્ચે મંત્રથી ઊભી કરેલી દીવાલ હતી; અહીં તો હું તારે પડખે જ છું- તારે ડરવાની જરા પણ જરૂર નથી.”
બંને જણા એ ટોળાનો ક્યાસ કાઢવા રસ્તા ઉપરથી જરા બાજુએ હઠી ગયા. થોડી વારમાં દીવાઓના પ્રકાશમાં સફેદ સફેદ ઓળાઓ આવતા દેખાવા લાગ્યા. સાન્કોના પગ તે જોઈ છેક જ ભાગી ગયા. માણસો હોત, તો તો છેવટે કંઈક આશા રહેત; પણ આ આકાશી ઓળાઓની ચુંગલમાંથી નાસી પણ કેમ કરીને છુટાય? - થોડી વારમાં તો તેઓ જોઈ શક્યા કે, સફેદ ઝભ્ભાધારી વીસ ઓળાઓ ઘોડા ઉપર બેસીને હાથમાં મશાલો પકડીને આ તરફ જ સીધા આવતા હતા. તેમની પાછળ કાળાં કપડાંમાં ઢાંકેલી એક પાલખી આવતી હતી અને તેની પાછળ કાળા ઓછાડવાળાં ખચરો ઉપર કાળા પોશાક પહેરેલા છ જણ હતા.
સફેદ ઝભ્ભાવાળાઓ મોંમાંથી કંઈક ઉચ્ચારો કરુણ અવાજે જપતા હતા. કાળી અંધારી રાતે વનવગડામાં આવું દૃશ્ય જોઈને સાન્કો કરતાં પણ મજબૂત હૈયાવાળા સ્કવાયરની છાતી બેસી જાય, અને ડૉન કિવક્સોટ ન હોય એવા કોઈ પણ નાઈટના મોતિયા મરી જાય. પણ ડૉન કિવકસોટને તો તરત પુસ્તકોમાં વાંચેલી એક વાત યાદ આવી – આ પાલખીમાં કોઈ નાઈટને ઘાયલ કરીને કે મારી નાખીને આ લોકો ઉપાડી જાય છે, અને એ નાઈટનું વેર લેવાનું હવે બીજા જીવતા નાઈટ તરીકે પોતાને માથે આવે છે!