________________
ડૉન કિવકસોટ! “માલિક, મેં તમને પાછા ફરવા બૂમો પાડી, તો પણ તમે કેમ સાંભળી નહિ? એ લશ્કર નહોતું, પણ ઘેટાંનું ટોળું હતું, એવું મેં તમને બૂમો પાડીને કેટલી વાર કહ્યું?”
અલ્યા ભાઈ, હું તને કહે કહે કરું છું કે, મારા દશ્મન જાદુગરો વેશપલટો કરવા-કરાવવાની વિદ્યા બરાબર જાણે છે. તેઓએ મને જોયો કે તરત મને ઓળખી લઈ, પેલા લશ્કરને ઘેટાંના ટોળામાં પલટી નાખ્યું; જેથી મને એકલે હાથે આખું લશ્કર હરાવ્યાનો યશ પ્રાપ્ત ન થાય. મારી પાસે પેલી જાદુમંતર વીંધનારી તલવાર નથી, તેની જ આ બધી પંચાત છે. પણ તારે ખાતરી કરવી હોય, તો તારા ગધેડા ઉપર બેસી, તેમની પાછળ જલદી જલદી જા; તો તને એ બધાં ઘેટાં બદલાઈને ડંકાનિશાનવાળું પૂરું લશ્કર થઈ ગયેલાં જોવા મળશે. પણ થોભ, હમણાં ત્યાં તેમની પાછળ ખાલી કુતૂહલથી જવાને બદલે મને ઊભો થવામાં મદદ કર; તથા મારા મોંમાં હવે કેટલા દાંત રહ્યા છે, તે જોઈ આપ.” .
પણ સાન્કો તેમના મોંમાં આંગળી નાખી દાંત ગણવા જાય તે જ વખતે ડૉન કિવકસોટના પેટમાં ગયેલી પેલી દવાએ તેનું કામ શરૂ કર્યું અને તેમને એવી સખત ઊલટી થઈ કે, તેમને કેટલાય દિવસનું ખાધેલું જાણે બહાર નીકળી ગયું. દાંત પડી જવાથી મોંમાં લોહી ભરાઈ રહેલું તે પણ આ ઊલટી સાથે બહાર નીકળી આવ્યું, એટલે સાન્કોને એમ જ લાગ્યું કે તેના માલિકનું હૃદય જ ફાટીને બહાર નીકળી પડ્યું છે. પરંતુ થોડી વારમાં પેલા ઓકામણમાંથી નીકળતી દુર્ગધ ઉપરથી તે સમજી ગયો કે, એ બધું તો તેના માલિકની પેલી જાદુઈ દવાનું જ મિશ્રણ છે – ત્યારે તેને પોતાને એ દવાથી થયેલી ઊલટીઓ યાદ આવીને એવો ઊબકો આવ્યો કે તેણે તેના માલિકના મોં ઉપર જ પોતાનું ખાધેલું બધું ઓકી કાઢયું. પછી તે પોતાનું મોં તેમ જ માલિકનું મોં સાફ કરવા પોતાની ઝોળીમાંથી કાંઈક લઈ આવવા પોતાના ગધેડા તરફ દોડ્યો; પણ ગધેડા ઉપર ઝોળી ન હતી – વીશીમાં તે પાછળ ભૂલી આવ્યો હતો ! આ બધાથી તે એવો અકળાયો કે તેણે ઘર તરફ એકલા જ પાછા ફરવાનું નક્કી કર્યું – ભલે તેનો આટલા દિવસનો ચડેલો પગાર ડૂલ થાય કે ભવિષ્યમાં મળનારું કોઈ ટાપુનું ગવર્નરપણું પણ જાય!