________________
(૩૪)
આચરણની શુદ્ધિ વિના વિચારની શુદ્ધિ થવી મુશ્કેલ છે.
જો પરિણામ અશુદ્ધ હોય તો નુકસાન સાધકને પોતાને જ થવાનું છે. માટે આચાર પાલનના બળે જીવ નિશ્ચય પંચાચારને ગ્રહણ કરી મોક્ષમાર્ગે આગળ વધી શકે છે.
દા.ત. ચક્રવર્તીનું અશ્વરત્ન પરાણે બ્રહ્મચર્ય પાળે છે તો પણ આઠમા દેવલોકમાં અવશ્ય જાય છે. માટે સાધકે ઇચ્છા કે અનિચ્છાનો વિચાર કર્યા વિના આચાર પાલનમાં ચુસ્ત રહેવું જોઈએ.
જો આચરણમાં-આચારમાં ગોટાળા કરીએ, ગોલમાલ કરીએ, પ્રમાદ કરીએ તો નુકસાન સાધકને ઘણાં પ્રમાણમાં થાય છે. બીજાને આ બાબતમાં નિમિત્ત બનવાથી એ કૃત્ય ગુનારૂપ થાય છે. જેમ બીજાને નિમિત્તે આપણે પાપ ન બાંધીએ, તેમ આપણા નિમિત્તે બીજા પાપકર્મ ન કરે તે આપણી ફરજ રૂપ છે. આવું નિમિત્ત આપણા તરફથી આપવાથી ધર્મભ્રષ્ટ થવારૂપ કર્મ ઉદયમાં આવે છે. માટે મન દુષ્ટ આચરણ કરવા ન પ્રેરાય તેની તકેદારી કેળવવી અને સાથે વૈરાગ્યભાવોને પણ દઢ બનાવવા, સમજણના ઘરમાં રહેવું એટલે કે વિવેકદૃષ્ટિ વિક્સાવવી. મનના નબળા વિચારોને આચારનું બળ ન મળે તો તે આપણી અંદર ટકી શકતા નથી.
શરૂઆતમાં વિચારશુદ્ધિ ન હોય તો પણ આચારનું પાલન કરતાં રહીએ તો કર્મનું આવરણ ઘટતાં વિચારશુદ્ધિ કાલાંતરે પ્રગટે છે. કેમકે આચાર એ વૃક્ષ છે, વિચાર તે ફૂલ છે, શુદ્ધ વ્યવહાર એ ફળ છે. નિશ્ચયની પ્રાપ્તિ ફળ છે. ફળ મેળવવા વૃક્ષનો નાશ ન કરાય. તેમ વિચારશુદ્ધિ મેળવવા આચારને ખલાસ ન કરાય. આચાર તોડીને મેળવેલી વિચારશુદ્ધિ કે પ્રસન્નતા એ મોહના ઘરની છે; કર્મ નિત છે, જે મોક્ષમાર્ગમાં રુકાવટ કરે છે. હૃદયના પરિણામ જેનાથી કોમળ થાય તે જ સાચી આરાધના છે.