________________
પ્રમોદભાવના
આકાશની જેમ આલંબન રહિત, વાયુની જેમ અપ્રતિબદ્ધગતિવાળા, શરદઋતુના જલ જેવા શુદ્ધહૃદયવાળા, કમલપત્રની જેમ લેપરહિત, કાચબાની જેમ ગુપ્તેન્દ્રિય, સિંહ જેવા દુર્ધર્ષ, મેરુપર્વતની જેમ અપ્રકંપ, સાગર જેવા ગંભીર, ચંદ્ર જેવા સૌમ્ય, સૂર્ય જેવા પ્રખર તેજવાળા, જાતિમાન સુવર્ણની જેમ મલરહિત સ્વરૂપવાળા હતા. પ્રસ્તુતમાં ગ્રંથકારની દૃષ્ટિ શંખાદિમાં રહેલા નિરંજનતાદિ ગુણો તરફ ગઈ છે !
૪૩
૧૩. સામાન્ય જીવો અને મહાપુરુષો વચ્ચેનું અંતર જીવ અજ્ઞાનના કારણે પોતાના આત્મામાં જે નથી તે ગુણો પણ બહારના જગતને દેખાડવાના પ્રયત્નો કરે છે, જેમ કે કોઈ બહુ વિદ્વાન ન હોય છતાં ‘હું વિદ્વાન છું' એમ બતાવવાનો ડોળ કરે છે. જો કે તેના મનમાં મહત્ત્વની તૃષા હોય છે, ‘જગત મને મહત્ત્વ આપે, હું મહાન ગણાઉં, મને અનુકૂળતાઓ મળે' વગેરે અનેક કુવિકલ્પોથી તેનું મન ભરેલું રહે છે, કિન્તુ અજ્ઞાનને વશ પણ જીવ બીજા જીવોના પ્રમોદનો વિષય બને તેવી પ્રવૃત્તિ કરતો હોય છે. બીજી બાજુ તે સદૈવ એવી પણ ખેવના રાખે છે કે ‘જગત મારા દોષોને જાણી ન જાય’ એ હેતુથી તે પોતાના દોષોને છુપાવવાના પ્રયત્નો કરે છે. એમ અજ્ઞાનપણે બીજા જીવોના અપ્રમોદનો પણ વિષય ન બનવાની પ્રવૃત્તિ કરતો હોય છે. જો કે તેમાં તેની ભાવના મહત્ત્વાકાંક્ષાની હોય છે, તો પણ તેની પ્રવૃત્તિ તો પ્રમોદ ભાવનાને અનુસરતી હોય છે. કારણ કે જીવ સ્વભાવે જ ગુણનો પક્ષપાતી છે અને ગુણનો પક્ષ એ પ્રમોદભાવનાનું બીજ છે. આ થઈ સામાન્ય જીવની વાત. મહાપુરુષોના જીવનમાં તો તેથી ઊલટું દેખાય છે. પોતાના આત્મામાં જે ગુણ નથી તેને તો તેઓ કદી પણ દેખાડવાના પ્રયત્નો કરતા નથી, કિન્તુ પોતાના ગુણોના વિષયમાં પણ તેઓ તદ્દન મૌન સેવે છે. અનેક ગુણો હોવા છતાં તેઓ પોતાના આત્માને નિર્ગુણ માને છે અને દોષો બહુ જ અલ્પ હોવા છતાં તેઓ પોતાના આત્માને દોષોથી ભરેલો માને છે. તેમના દોષોનું કોઈ વર્ણન કરે, તેમની કોઈ નિંદા કરે, તો તેમને આનંદ થાય છે. દોષો બતાવનારનો તેઓ મહાન ઉપકાર માને છે. ગુણો બોલનાર તરફ તેઓ ઉપેક્ષા વૃત્તિવાળા હોય છે.
૧. હિંદુ ધર્મસાહિત્યમાં ગુણગ્રાહકતા ઉપર શ્રી દત્તાત્રેયનું દૃષ્ટાંત પ્રસિદ્ધ છે. શ્રી દત્તાત્રેયે પૃથ્વીમાંથી સહનશીલતા, પાણીમાંથી સ્વચ્છતા, મધુતા અને પવિત્રતા વગેરે અનેક પદાર્થોમાંથી વિશિષ્ટ ગુણોને શોધીને પોતાની સાધના ઉજ્જ્વળ બનાવી હતી.