________________
૩ ૨
ધર્મબીજ અશુભ વિચારોવાળાં હોય છે. આ થઈ બાહ્ય વાતાવરણની મન પરની અસર.
ઠીક જ કહ્યું છે કે “આપ ભલા તો જગ ભલા.”
તમે તમારા મનમાં એક વખત મૈત્રીને વિકસાવો, પછી જુઓ તેની બાહ્ય જગત ઉપરની જાદુઈ અસરો !
(૮) એક ડોસીમા પોતાની દીકરી સાથે પગે ચાલીને એક ગામથી બીજે ગામે જતાં હતાં. રસ્તામાં સામેના ગામ જતો એક ઘોડેસ્વાર મળ્યો. ડોસીએ ઘોડેસ્વારને કહ્યું કે, “આ મારી દીકરી થાકી ગઈ છે, ભાઈ અને ઘોડા ઉપર બેસાડીને સામેના ગામમાં પહોંચાડી દઈશ?”
ઘોડેસવાર તો કોઈ પણ જવાબ આપ્યા વિના અનાદર કરીને આગળ ચાલ્યો. પણ થોડુંક આગળ ગયો, એટલામાં તેને વિચાર આવ્યો કે જો પેલી છોકરીને ઘોડા પર બેસાડી લીધી હોત તો તેનાં આભૂષણો મારાં બની જાત.” તાત્પર્ય કે તે છોકરીને લૂંટી લેવાનો અશુભ ભાવ તેના મનમાં જાગ્યો. તે પાછો ફર્યો, ડોશીમા પાસે આવીને તેણે કહ્યું કે, “લાવ મા ! દીકરીને ઘોડા પર બેસાડીને ગામમાં પહોંચાડી દઉં !”
ડોસીમા વિચક્ષણ હતાં, ઘોડેસવારની બૂરી દાનત સમજી ગયાં અને તેને ના કહી દીધી.
કેવી વિચિત્ર અસરો છે વિચારોની !
સર્વ ભવ્ય જીવોનાં આઠે કર્મો નાશ પામો એવી શુભભાવનાથી પ્રેરાઈને ઉપરનાં આઠ દષ્ટાંતો પસંદ કરવામાં આવ્યાં છે, બાકી કોઈ પણ ધર્મના ગ્રંથોમાં તેવાં અનેક દૃષ્ટાન્તો મળે તેમ છે. મુમુક્ષુઓએ મૈત્રીનાં દૃષ્ટાતોનો સંગ્રહ કરવો જોઈએ અને તેથી પોતાના આત્માને ભાવિત કરતાં રહેવું જોઈએ.
મૈત્રી વિનાની સર્વ સાધનાઓ નિષ્ફળ છે અને મૈત્રી સહિત થયેલી અલ્પ પણ સાધના અનંત ફલદાયક છે, એ વાત મુમુક્ષુએ કદી પણ ભૂલવી જોઈએ નહીં.