________________
સૂત્ર – ૧
: ૬૭ :
(૩) ત્રીજું સાધન સુકતની આસેવના. એટલે કે અરિહંતાદિ આત્માઓની ઉત્તમ પ્રવૃત્તિઓ અને ઉત્તમ ગુણોની અનુમોદનાનું આસેવન. અહીં સુકૃત શબ્દથી અનુમોદન એટલા માટે લીધું કે અનુમોદન જો વિવેકવાળું, એટલે કે દંભ વિનાનું અને વસ્તુની કદર (મૂલ્યાંકન)વાળું હોય, સાથે નિયમિત થતું હોય, તો આત્મામાં અખંડ શુભ અધ્યવસાયને અવશ્ય સાધી આપે છે. જ્યારે, સારી પ્રવૃત્તિને જાતે કરવામાં કે બીજા પાસે કરાવવામાં નિશ્ચિતપણે તેવા ભાવની સિદ્ધિ થાય જ એવું હંમેશાં નથી બનતું. અનુમોદનામાં તો મન-વચન-કાયા ત્રણેનીય પ્રસન્નતા જોઈએ જ; અને તે આત્મામાં મહાન શુભ પરિણતિને જગાડ્યા વિના રહેતી નથી. પુણ્ય કે પાપ ત્રણ રીતે થાય, -સ્વયં કરવાથી, અન્ય પાસે કરાવવાથી, કે જાતે અનુમોદવાથી. આમાં ઉત્તમ (શુભ) અનુષ્ઠાનોની અનુમોદના એ પણ એક પ્રકારનું આસેવન છે, એક પવિત્ર કાર્ય છે. તેથી વિશુદ્ધ ભાવો હૃદયમાં જાગે છે.
આ ત્રણે ઉપાયો ઔચિત્ય, સતતપણું, સત્કાર અને વિધિથી સેવાતા ઔષધથી સાધ્ય રોગની જેમ તથાભવ્યત્વનો પરિપાક કરે છે; અને તે પરિપાક થતાં, પાપ કર્મ નાશ પામી શુદ્ધ ધર્મની ભાવથી પ્રાપ્તિ થઈ સંસારનો ઉચ્છેદ થાય છે. જે કારણ થકી આ ત્રણ સાધનોથી અવશ્ય દુઃખમય, દુઃખફલક, અને દુઃખાનુબંધી સંસારના નાશરૂપ પ્રસ્તુત તત્ત્વની સિદ્ધિ થાય છે, એટલા જ માટે મોક્ષાર્થી ભવ્ય જીવે એ સચોટ ઉપાયોનું સેવન હંમેશા કરવું જોઈએ. તે પણ પ્રશસ્ત પ્રણિધાન, એકાગ્રતા, ભાવવિશુદ્ધિ અને કર્તવ્યના નિશ્ચય સાથે કરવું જોઈએ. અહીં કાળનો વિચાર નથી, કિંતુ જ્યારે જ્યારે એ કરાય ત્યારે ત્યારે સુંદર પ્રણિધાન સાથે કરવું જોઈએ, કેમકે કાર્ય-સિદ્ધિમાં પ્રણિધાન એ સાધનાનું પ્રધાન અંગ છે. કહ્યું છે કે પ્રણિધાનથી કરેલું કર્મ ઉત્કટ વિપાકવાળું માન્યું છે, કેમકે એમાં અવશ્ય અનુબંધ પડે છે, અને એથી આગળ પ્રવૃત્તિ વગેરે યોગો સિદ્ધિ સુધી પહોંચાડે છે. ષોડશકશાસ્ત્રમાં સાધક માટે પ્રણિધાન-પ્રવૃત્તિ- વિજય- સિદ્ધિ એ ક્રમ બતાવ્યો છે, તે પ્રણિધાનની અતિ આવશ્યકતા સૂચવે છે. * શાલિભદ્રના જીવે પૂર્વભવમાં થોડું પણ દાન કર્યું, ને ગુરુનો સત્કાર કર્યો, તેમાં ને અંતકાળેય ગુરુનું અને ત્યાગધર્મનું જબરું શરણ કર્યું, આ બધું એવા પ્રણિધાનથી કર્યું કે પરભવે રોજની અમૂલ્ય નવાણું દેવતાઈ પેટી ઉપરાંત એનોય ત્યાગ અને પ્રભુનું શરણ મળ્યાં !
હવે ધ્યાનમાં રાખવું, કે જો તીવ્ર સંક્લેશ એટલે કે તીવ્ર રાગદ્વેષનો અનુભવ થઈ આત્માને અતિ હર્ષ-ઉદ્વેગ, રતિ-અરતિ, મદ-તૃષ્ણા વગેરે થતા હોય તો આ ત્રણ ઉપાયનું સેવન વારંવાર કરવું જોઈએ. બાકી સંકલેશ ન હોય અને સ્વસ્થતાએ કાળ પસાર થતો હોય, ત્યારે પણ રોજ સંધ્યાએ તો આ ત્રણ સાધન અવશ્ય સેવવાં જોઈએ.