________________
: ૬૮ :
પંચસૂત્ર
આમાં પહેલો ઉપાય ‘ચાર શરણાં' કેવી રીતે સ્વીકારવા તે બતાવે છે. અહિ એ ખાસ સમજવાનું છે કે આ જીવે આમ તો ચાર શરણાં સ્વીકારવાનો દેખાવ ઘણી વખત કર્યો હશે. કેમકે, શાસ્ત્ર જ્યારે કહે છે કે આ જીવે અનંતીવાર ધાર્મિક દ્રવ્ય-ક્રિયાઓ કરી. તો પછી એમાં ચારિત્ર જેવી કષ્ટમય જીવનચર્યાએ પહોંચેલા જીવે શું ચાર શરણાં સ્વીકારવાની ક્રિયા નહિ કરી હોય ? કરી હશે, છતાં પાપપ્રતિઘાત થયો નહિ. એ સૂચવે છે કે સાચો શરણ- સ્વીકાર જ કર્યો નથી. આપણે સામાન્યથી એમ કહીએ કે ‘મારે અરિહંતનું શરણ છે, સિદ્ધનું શરણ છે', એટલા માત્રથી ઉપાયભૂત શરણાંનો સાચો સ્વીકાર થતો નથી. ત્યારે એમાં શું કરવાનું બાકી રહે છે કે જેથી આપણે ભાવથી શરણ સ્વીકાર્યાં એમ કહી શકાય ?
ગ્રંથકાર જે અરિહંત પરમાત્માદિ ચારનું શરણું આપણી પાસે સ્વીકારવાવા ઈચ્છે છે, ત્યાં પોતે તે અરિહંતદેવ અને સિદ્ધ ભગવાન વગેરેનાં અમુક અમુક ચોક્કસ વિશેષણો કહે છે, અને આપણે તે તે વિશેષણોની શ્રદ્ધા સાથે શરણું કરવું જોઈએ, એ સૂચિત થાય છે. હવે જો શરણું સ્વીકારવાની અભિલાષાવાળો તે તે વિશેષણોની જ્વલંત શ્રદ્ધા નહિ કરે તો સાચું શરણું નહિ થાય. તે તે વિશેષણો એમનામાં યથાસ્થિત છે એવું શ્રદ્ધાથી ત્યારે માન્યું ગણાય કે જો એમનાથી અન્ય કોઈમાં તે વિશેષણો ઘટે એવા નથી, બલ્કે તેથી વિપરીત સ્થિતિ છે, એવું હ્રદયે સચોટ વસી જાય. તાત્પર્ય એ છે કે જેમનું શરણું સ્વીકારીએ છીએ, તેમનામાં મુખ્યપણે તે ગુણો માનવા જોઈએ, અને અન્યમાં તે ગુણો નથી બલ્કે પાપવર્ધક વિપરીત દોષો છે, એ પણ હૃદયના ઉંડાણમાં ઠસેલું હોવું જોઈએ. આમ કરવાથી સાચી રીતિએ તે તે ગુણોથી નિષ્પન્ન શ્રી અરિહંત દેવ વગેરે જ સાચું શરણું આપનારા લાગશે; અને જીવ પણ એક માત્ર તેમનું જ શરણું સ્વીકારશે. એટલું જ નહિ, પણ આવું શરણ પામવાથી પોતાની જાતને મહા ભાગ્યશાળી સમજશે. પોતે આ શરણારૂપી રતનું મહાનિધાન પામ્યો, એનું એને ગૌરવ રહેશે. એની આગળ કોઈ સાંસારિક અનુકૂળતા ઓછી પણ મળી હશે તેને બહુ વિસાતમાં નહિ ગણે, ને તેથી એને ઓછું નહિ લાગે. શરણું પામ્યાથી એને સઘળું મલ્યું એમ લાગશે; સાથે હૃદયમાં ખાતરી થતી જશે કે હવે મારે સંસારમાં દીર્ધ ભ્રમણ હોય જ નહિ, પણ જલ્દીથી મુક્તિ પ્રાપ્ત થવી જ જોઈએ. આ વસ્તુ હૃદયમાં સ્પર્શે એટલે શું થયું ? કહો કે એણે ભવચિ અને મિથ્યાત્વ જેવા આશ્રવો કે જે અશુભ કર્મના અનુબંધ કરાવનારા છે, તેને ત્યજી દીધા. એ આશ્રવો એજ પાપ. એનો નાશ એ પાપપ્રતિઘાત થયો. એટલે ગુણોના બીજનું આધાન થતાં શી વાર ? અરિહંતદેવ આદિના શરણનો સ્વીકાર આત્માને કેટલો મસ્ત રાખી પાપપ્રતિઘાતાદિ કરવામાં અતિ ઉપયોગી બને છે, એ આપણને સુલસા શ્રાવિકાના એક પ્રસંગમાં જોવા મળે છે.