________________
૧૩. સામાયિક : અખંડ આત્માની અખિલાઈનું અવતરણ
સમતા એ જ આત્મા છે, અર્થાત્ એમાં સમતાનું સાતત્ય છે. હરેક અવસ્થામાં ઉપયોગ સમતાયુક્ત છે. એ સમતા સ્વાભાવિક છે. પરંતુ અજ્ઞાનવશ જીવમાં વિષમતા પેદા થતા સમતા ખંડિત થઈ જાય છે. જેમ એક કાચની બરણી આખી છે, તે તૂટી જતાં તેનો ઉપરનો તે ભાગ, વચ્ચેનો ભાગ અને તળિયાના ભાગના આકારો ભિન્ન ભિન્ન જણાય છે. તેમ જીવની સ્વભાવરૂપ સમતા જ્યારે અજ્ઞાનના ઉદય વશ ખંડિત થાય છે ત્યારે રાગદ્વેષ, તેમાંથી ક્રોધાદિ કષાયો તેમાંથી હાસ્ય, ભય, શોકાદિના કષાયો નીપજે છે. આમ એક અખંડ તત્ત્વ ખંડિત થાય છે. છતાં સમતા એ આત્માની અવસ્થા છે. આત્મા ત્રિકાળી ધ્રુવ છે. એટલે તે સમતાની અવસ્થા ખંડિત થવા છતાં આત્મા સ્વસ્વરૂપે ત્રિકાળી અખંડ દ્રવ્ય છે. આ પ્રમાણે વીતરાગતા જેવા ગુણો માટે સમજવું અને તેને ઉપાદેય કરવા.
જેમ સમતા અને આત્મા અભિન્ન છે, તેમ જ્ઞાન અને આનંદ પણ અભિન્ન છે. સમતા વિષમતાથી તિરોહિત થાય છે, તેમ જ્ઞાન અને આનંદ મોહથી તિરોહિત થાય છે. જ્ઞાન અને આનંદ આત્માના જ છે, આત્મામાં જ છે, પણ જીવની દશા કસ્તુરી મૃગ જેવી થઈ છે. “જિમ તે ભૂલો મૃગ દશદિશિ ફરે, લેવા મૃગવદ ગંધ, એમ જગ ઢૂંઢે બાહિર ધર્મને, મિથ્યા દૃષ્ટિ રે અંધ.'' મહામહોપાધ્યાયજી
જ્ઞાનસ્વરૂપ આત્મા પોતાના જ્ઞાનવડે આનંદનું વેદન કરવાને બદલે જ્ઞેય-પરપદાર્થોને જોવા જાણવામાં આનંદ શોધે છે. આત્મસાધક અંધકારને આવકારતો નથી, તે પ્રકાશપુંજનો ચાહક છે. જીવનનો શુદ્ધિ રહિત આત્મવિકાસ શક્ય નથી. આત્મવિકાસ કે અધ્યાત્મનો પંથ અખિલાઈના સ્પર્શની સાધના છે. તેને ક્ષુદ્રતામાં અંક્તિ ન કરવો. જીવન શુદ્ધિ વડે અખિલાઈને આંબવા દૃઢ સંયમ અને પુરુષાર્થ જરૂરી છે. સામાયિક ધર્મ કર્મજનિત ખંડિત અવસ્થાથી મુક્ત કરે છે. કર્મજનિત અવસ્થામાં પુણ્યયોગે થતી પૌદ્ગલિક પદાર્થોની પ્રાપ્તિ અંતે અપ્રાપ્તિરૂપ
ન
૬૮
-