________________
૧૧. સમભાવ રહિત દેહના નેહથી શું બન્યું ?
સંસારી જીવ ક્ષુદ્ર વસ્તુઓનું મૂલ્ય આંકેછે પણ આત્માનું સામર્થ્ય તેની સમજમાં આવ્યું નથી, એટલે દેહાદિ જડ એવી વસ્તુમાં રાગ કરી આત્માનું અવમૂલ્યન કરે છે. આત્મા દ્રવ્યથી અચિંત્ય અને પરમશુદ્ધ, ક્ષેત્રથી પોતાના જ અસંખ્યાત પ્રદેશની મર્યાદામાં રહેનારો, કાળથી જન્મ મરણરહિત અવિનાશી, ભાવથી નિર્વિકલ્પ ગુણોથી ભરપૂર. છતાં તે શાથી અસામર્થ્યવાન કે અલ્પ સામર્થ્યવાળો થયો છે ? તેનું અનંત સામાર્થ્યબળ ક્યાં દટાઈ ગયું ? તે સામર્થ્ય પ્રગટ થવા માટે સામાયિક બળવાન સાધન છે.
સંસાર એ અનેક વિષયોના વિષથી આક્રાંત થયેલું વન છે. તેમાં પ્રલોભનો અનેક છે. જેમ વન ચંદનવૃક્ષોથી ભરેલું છે, તેની સુવાસથી પ્રેરાઈને સર્પો વૃક્ષની આસપાસ વીંટળાઈ વળે છે, ત્યારે ચંદનની સુવાસમાં વિષ ભળે છે. પરંતુ એ જ વનમાં મોર પણ રહે છે. સર્પ અને મોરનું પેઢીઓ જૂના વાઘ બકરી જેવા સગપણ હોય છે. મોરનો ટહુકારો સાંભળે અને સર્પ બધા અદૃશ્ય થઈ જાય.
આ પ્રમાણે વિષયોના વિષ સામે આત્માસંયમનો ટહુકાર વીતરાગની ભક્તિનો રણકાર, વૈરાગ્યનો પડકાર સાંભળે તો વિષ ઊતરી જાય છે. આત્માનું આવું સામર્થ્ય દેહના સ્નેહમાં અટકી ગયું છે. દેહની શોભા આત્મા વડે કે આત્માની શોભા દેહ વડે ? ભાઈ, આત્માની શોભા આત્મા વડે જ છે. છતાં આત્મા શરીરમાં હોય તો જ શરીરની શક્તિ પણ પ્રગટ થાય છે. તારા પગ માંડ આઠથી દશ કે બાર ઈંચના પણ જો પૃથ્વીની પ્રદક્ષિણા કરવી હોય તો તે કરી શકે. તો પૃથ્વી મોટી કે તારું ચાલકબળ મોટું ?
ઊંચામાં ઊંચો પર્વત ચઢયા પછી તારામાં હજી ઊંચે ચઢવાની તાકાત છે, તો એ પર્વત ઊંચો કે તારો આત્મા ઊંચો ?
મોહનીયકર્મની સ્થિતિ સિત્તેર કોડાકોડી સાગરોપમની છે, તેનો પાર કેમ આવે ? અરે ! એ તો કર્મની પ્રકૃતિ છે ભલેને સિત્તેર કોડાકોડી હોય તો પણ અંતવાળી છે. આત્માનો અંત નથી, તેથી તે
૬૩