________________
* પાફકથન *
-પૂ. શ્રી આત્માનંદજી ભૂમિકા :
સર્વ જ્ઞાની પુરુષોએ જેને આત્માના કલ્યાણ માટેનું સૌથી મહત્ત્વનું અંગે કહ્યું છે તેવા ધ્યાન'ના વિષયનું વિશદ વિવેચન કરનારા આ ગ્રંથનું આલેખન, સંપાદન અને પ્રકાશન થઈ રહ્યું છે તે ગુજરાતીભાષી સમસ્ત અધ્યાત્મપ્રેમી જનતાને માટે પ્રસન્નતાનો વિષય છે.
આપણા જીવનનું ધ્યેય શાશ્વત અને સ્વાધીન આનંદની પ્રાપ્તિ કરવાનું છે. આવો આનંદ આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યા વિના સંભવી શકતો નથી અને આ આત્મજ્ઞાનની પ્રાપ્તિ આત્મવિચારણા, આત્મભાવના અને આત્મધ્યાન દ્વારા જ થઈ શકે છે. માટે આત્મા, આત્માનું જ્ઞાન અને આત્માનું ધ્યાન-આ વિષયો શાશ્વત સત્યના સર્વ સંશોધકોને સ્પર્શતા હોવાથી તે વિષેનું સર્વતોમુખી જ્ઞાન બૌદ્ધિક અને પ્રાયોગિક સ્તરે પામવાની દરેક સાધકને અનિવાર્યતા છે. આ દિશામાં, આ કૃતિ સાધકોને થોડાઘણા અંશે પણ ઉપકારી થશે તો તેના લેખન, સંપાદન અને પ્રકાશનનો શ્રમ અમે સફળ ગણીશું. ધ્યાનના વિષય બાબતનું અજ્ઞાન :
છેલ્લા ત્રણ દાયકામાં વિવિધ કક્ષાના જિજ્ઞાસુ-સાધકોના પરિચયનો જે અનુભવ થયો તેનું વિશ્લેષણ કરતાં એક વાત બહુ સ્પષ્ટપણે અનુભવમાં આવી, અને તે એ છે કે વ્યક્તિગત ધ્યાનનો અભ્યાસ કરનારાઓમાં તેમ જ સામૂહિક ધ્યાનસાધના કરાવનારાઓમાં પણ પોતાના વિષયનું સાંગોપાંગ અને યથાર્થ જ્ઞાન લગભગ નહીંવત્ જોવામાં આવે છે. આ પરિસ્થિતિ ખરેખર અકુશળ અને શોચનીય છે તથા યથાર્થ જ્ઞાનાર્જનના વિવિધ ઉપાયો દ્વારા તેમાં સુધારો થાય તે જોવાની ફરજ સાચા ધ્યાનમાર્ગના સૌ સાધકોની છે. ધ્યાન વિષેનું સ્પષ્ટ પરિજ્ઞાન ન હોય તો તેની સાધના પણ યથાર્થપણે ન થઈ શકે.
આ ગ્રંથના લેખક-સંપાદક મહાન યોગીશ્વરો અને જ્ઞાની વિજ્જનોના પ્રાચીન અને અર્વાચીન અનેકવિધ ગ્રંથોનો આશ્રય લઈ, સ્વયંસ્ફરણાથી આ લેખનકાર્ય કરેલું છે. તેમાં તેમણે પોતાના દીર્ઘકાલીન