________________
જાતની અને સમગ્ર વિશ્વકુટુંબના અને સધળા જીવોની સેવા કરી શકીશુ. જાગરૂક મન યા શાંત જાગૃતિ રૂપ સંતુલન ધ્યાન દૈનિક જીવનમાં પ્રગટવું એ આપણા વ્યક્તિગત સ્વભાવ પર આધારિત છે. ચેતનાશક્તિ અને જડ શક્તિ વચ્ચેનો તફાવત કેમ માલુમ પડે ? આ બન્ને વચ્ચેનો શો સંબંધ ? આ પ્રશ્નોનો પ્રત્યુત્તર મેળવવા માટે સાચો સાધક સમજે છે કે માત્ર બૌદ્ધિક પૃથકકરણ અને તર્કથી આનો ઉકેલ લાવી ન શકાય. તે જાણે છે કે મન પદાર્થનું સૂક્ષ્મ અને ઉચ્ચ સ્વરૂપ છે પણ તે પોતાથી પર એવા બીજે છેડે જોઈ શકતું નથી. મન હંમેશા પૃથકકરણ કરી ભૌતિક કક્ષાએ જ નિર્ણય લઇ શકે છે.
સાધક, દૃશ્ય પદાર્થની પેલી બાજુ જવા માંગે છે. તે સમજે કે મનનું વિશ્વ મુખ્યત્વે શબ્દો અને દલીલો, ચર્ચાઓ અને અવતરણો પર આધારિત છે. તે જાણે છે કે મન શબ્દોની માયાજાળમાં ફસાય છે. અને છતાં પોતે એમ માની લે છે કે “મને કોઈ ઉચ્ચ તત્ત્વની ઝાંખી થઈ છે” પણ વાસ્તવિક રિતે આંતરદર્શનને બદલે તે નવા નવા કોયડા ઊભા કરે છે. પોતાની સાથે સંમત ન થાય તેવાઓને નાસ્તિક’‘કાફર' વિ. ઉપનામો આપે છે. મન હમેશાં બાહ્ય-રૂપ આકારોને વળગે છે, અને જે એથી પર હોય તેને દુશ્મન ગણે છે.
આ રિતે ધર્મઝનૂની લોકો જેઓ પ્રેમ અને સુસંવાદિતાના ચાહક હોવાનો દાવો કરે છે. તેઓજ ધિક્કાર અને ઘર્ષણ ફેલાવે છે. ઈતિહાસમાં જોતાં સૌથી વધુ યુદ્ધો ધર્મના નામે થયાં છે. રૂપની દુનિયામાં સંઘર્ષ હોવાનો જ.