________________
એ મનમાં વિચાર કરે છે : આ ભરવાડનું ભલું થાઓ કે મારાં કર્મો ખપાવવામાં મને એ સહાયતા આપી રહ્યો છે.
એટલામાં બીજો એક ભીલ આવ્યો. એનો ભત્રીજો આના હાથે મરી ગયો હતો. કાંટાની વાડમાંથી એણે કાંટાનું એક ઝાંખરું લીધું અને એના પર ઝીંકવા લાગ્યો. અજનના શરીરમાં કાંટા ભરાઈ ગયા. વેદનાથી પોતાની જાતને એ પૂછે છે કે, તેં બીજાને માર્યા હશે એ વખતે એમને કેટલું દુ:ખ થયું હશે ? તને કાંટાની વેદના ખટકે છે, પણ બીજાના છે તે પ્રાણ લીધા હતા. એ વખતે એનું શું થયું હશે ?
દોઢ મહિને અહીં પૂરો કરી એ પશ્ચિમમાં ગયો. પછી ઉત્તારમાં અને દક્ષિણમાં ગયો. આમ છ છ મહિના સુધી એણે માર સહન કર્યા. પથ્થરો ખાધા. લોહીની ધારા વહી. આખા શરીરમાં રંગ કે રૂપ નહિ એવા પ્રકારના ઘા પડ્યા. પણ એણે નક્કી કર્યું કે મારા પર કોઈ સહાનુભૂતિ ન બતાવે.
આજે તો આપણે આપણા પ્રત્યે કોઈક સહાનુભૂતિ બતાવે એમ ઇચ્છીએ છીએ.
આપણું કોઈ કામ ન કરે તો આપણે કહીએ છીએ કે, મને કોઈ સહાનુભૂતિ બતાવતું નથી. પણ આપણે કોઈની સહાનુભૂતિ નહિ, પણ આત્માની જ સહાનુભૂતિ જોઈએ. આત્માની અંદરથી નીકળતી સહાનુભૂતિ એવી મોટી છે કે એની પાસે બીજાની સહાનુભૂતિની કંઈ જ જરૂર નથી.
એટલે એણે છ મહિના સુધી એવું તપ કર્યું કે એણે એક પણ દુર્ભાવ ન કેળવ્યો. એની આંખ આગળ ભગવાનની છબી રમતી હતી. એને થયું કે કેવી સુંદર કરુણા એમાંથી નીતરી રહી છે! કેવો સુંદર મધુર અવાજ એના કાનમાં આવી રહ્યો છે! એવો એ વિચાર કરે અને દુ:ખને ભૂલી જાય.
એમ કરતાં કરતાં છ મહિના થયા અને અર્જુન માળીનાં બધાંય કર્મો ખપી ગયાં. એને કેવળજ્ઞાન થયું; કારણ કે, એણે પોતાના આત્માનું સંશોધન કર્યું. આત્માને ધોઈ નાખ્યો અને એના ચાર દાનવ કરતાંય કાળાંમાં કાળાં જે કર્મો હતાં એને સાફ કરી નાખ્યાં. એનો આત્મા કાંચન જેવો નિર્મળ બની ગયો.
ભગવાનના એક જ સમાગમે અર્જુન માળીનું જીવન સુધરી ગયું. લોકો વાતો કરવા લાગ્યા કે અજુન માળીને સુધારનાર કોણ? એને ભગવાન પાસે લઈ જનાર કોણ? એને ભગવાનને સમાગમ કરાવનાર કોણ? અને