________________ મા ધર્મ અને તત્ત્વજ્ઞાન 39 ES મીમાંસક, વૈયાકરણ અને ચાર્વાક વગેરે ભિન્ન ભિન્ન મતો છે. (ચાર્વાક દર્શન હિંદુ ધર્મનો ફાંટો છે કે કેમ એ વાત ઉપર વિવાદ ચાલે છે.) વેદાંતમાં વળી અદ્વૈત અને વિશિષ્ટાદ્વૈત જેવા કેટલાક ફાંટાઓ છે. એ બધાની સામે, જૈન તત્ત્વજ્ઞાન એ એકજ એવું તત્ત્વજ્ઞાન છે, જેમાં શાખાઓ કે ફાંટાઓ નથી. ધર્મના આચરણ બાબતમાં જૈન ધર્મમાં શ્વેતાંબર, દિગંબર અને સ્થાનકવાસી જેવી શાખાઓ (અને ફિરકાઓ કહેવામાં આવે છે) છે; પરંતુ, તત્ત્વજ્ઞાન ભૂમિકા ઉપર જૈન ધર્મની આ ત્રણે શાખાઓ એક જ છે, એકમત છે. નાના નાના મતભેદો અહીં તહીં હોવાનું કંઈ અસંભવિત નથી, પણ ત્તત્વજ્ઞાનની મૂળભૂત પીઠિકા - ઉપર કશોય મહત્ત્વનો મતભેદ નથી. આ એક જ વાત એવી છે, જે જૈન દર્શનની સદ્ધરતા (Solidity) નક્કરતા અને પાયાની મજબુતાઈને પૂરવાર કરે છે, જૈન તીર્થકરોએ જે અબાધિત સિદ્ધાંતો જગતને બતાવ્યા છે, એના કિલ્લામાંથી એક કાંગરો પણ હજુ ખર્યો નથી, કોઇથી ખેરવી શકાયો નથી. જો આમ જ હોય, અને એવું હોવા વિષે કશી શંકા નથી, તો પછી એનું કંઈ ખાસ કારણ પણ હોવું જોઈએ. - આ કારણ છે, જૈન તત્ત્વજ્ઞાનની વિશિષ્ટતા. પ્રાચીનતાની દૃષ્ટિથી તો જૈન દાર્શનિકોનો એવો દાવો છે કે જૈન ધર્મ અનાદિ, શાશ્વત અને અવિચળ છે. પરંતુ, એ એક જ કારણથી એ વિશિષ્ટ કે શ્રેષ્ઠ છે એવો દાવો કરવામાં આવતો નથી. એની વિશિષ્ટતા અને શ્રેષ્ઠતા તો એનું જે અદ્ભુત તત્ત્વજ્ઞાન છે તેમાં રહેલી છે. જગતના તમામ તત્ત્વજ્ઞાનોમાં અનોખું અને વિશિષ્ટ સ્થાન ધરાવતું અને દિગ્વિજયી આ તત્ત્વજ્ઞાન અનેકાંતવાદના નામથી ઓળખાય છે એ વાત તો અગાઉ કહેવાઈ ગઈ છે. આ તત્ત્વજ્ઞાનની ખાસ મહત્ત્વની બાબત એની તર્કપદ્ધતિ છે. એ તર્કપદ્ધતિ એટલી સંપૂર્ણ અને Full-Proof ક્યાંયથી પણ આંગળી ન ખેંચી શકે તેવી છે કે જગતભરના જે વિદ્વાનો એના પરિચયમાં આવે છે તેઓ એનાથી મોહિત થઈ જાય છે. સર્વશ્રી હર્મન જેકોબી, ડૉ. સ્ટીનકોનો, ડૉ. પારોલ્ડ અને બર્નાડ શો જેવા પશ્ચિમના વિદ્વાનો પણ આ તત્ત્વ જ્ઞાનથી મુગ્ધ થઈ ગયા છે. તત્ત્વજ્ઞાનની ઉચ્ચ-લોકોત્તર-ભૂમિકા ઉપર આ અનેકાંતવાદ કદાચ કઠણ અને અટપટો લાગતો હશે, પણ રોજબરોજના સામાન્ય માણસોના વિચારશીલ વર્તનમાં તો એ વાદ બરાબર ઘર કરીને બેઠેલો જ છે. આપણે, ઉપર કાપડની ખરીદીને લગતું દૃષ્ટાંત નોંધ્યું છે, તેમાં અનેકાન્તવાદની છાયા નથી, તો બીજું શું છે?