________________
પરિચય ૧. નિશ્ચય નય. ૨. વ્યવહાર નય.
અહીં નિશ્ચયનો અર્થ મૂળભૂત સિધ્ધાંત, ધ્યેય અથવા એક અને અબાધિત સત્ય એવો થાય છે. જ્યારે વ્યવહારમાં, દેખીતી રીતે જેમાં સિદ્ધાંતનું દર્શન થતું ન હોય, છતાં, એ સિદ્ધાંતની પૂર્તિ માટે વ્યવહારમાં આચરવામાં ઉપયોગી થાય એવી બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. મૂળ સિદ્ધાંતનો બાધક, વિરોધી કે ઉન્લક હોય એવા વ્યવહારનો, આચરણનો તેમાં સમાવેશ થતો નથી. આ ઉપર, સાત નયમાં સામાન્ય અને વિશેષ એવી જે વાતો દ્રવ્યાર્થિક તથા પર્યાયાર્થિક વિભાગોમાં બતાવવામાં આવી છે એમાં ખાસ ભારપૂર્વક, યાદ રાખવા જેવી જે વાત જૈન તત્ત્વજ્ઞાનીઓએ કહી છે તે એ છે કે :
* “વિશેષ સિવાયનું સામાન્ય અને સામાન્યથી રહિત વિશેષ એવું આ જગતમાં કશું જ નથી.” *
આનો સ્પષ્ટ અર્થ એ થયો કે ઉપર જે સાત નય બતાવ્યા છે એને જુદી જુદી વ્યક્તિગત રીતે સમજ્યા પછી પણ, એને એક સમૂહમાં જ ગણવાના છે.
નયનો આ વિષય અત્યંત રસપ્રદ અને સમજવા જેવો છે. એને માટે આગળ ઉપર હવે પછીના પાનાઓમાં યોગ્ય સ્થળે વિશેષ વિચાર આપણે કરીશું.
૧૬. ઉપર જે બધાનો ઉલ્લેખ કર્યો છે તેને તથા બીજી બાબતોને બરાબર સમજવા માટેનું એક કોષ્ટક પણ જૈન દાર્શનિકોએ તૈયાર કરેલું છે. એને આપણે સપ્તભંગી' એવું નામ આપ્યું છે. સ્યાદ્વાદના તત્ત્વવિજ્ઞાનનું હાર્દ આ સપ્તભંગીમાં છે. આ સપ્તભંગી જોઈને ઘણા લોકો ભડકી જાય છે. કેમકે, પહેલી નજરે તેમાં પરસ્પર વિરોધી વાતો દેખાય છે. જેમને વસ્તુના વિજ્ઞાનની સમજણ કે ખ્યાલ નથી એવા લોકો તો આ સપ્તભંગીમાં થતા પ્રયોગો જોઇને ભારે મુઝવણમાં પડી જાય છે. આની બરાબર સમજણ પડે એટલા માટે જૈન તત્ત્વવેત્તાઓએ એક ઘણી જ મહત્ત્વની વાત કરી છે. આ વાતને આપણે બરાબર ધ્યાનમાં રાખીશું તો પછી “સપ્તભંગી” સમજવામાં કશી મુશ્કેલી નહિ પડે. આ વાત છે : - “પ્રત્યેક વસ્તુ અનેકધર્માત્મક છે.” આ અનેકધર્માત્મક એટલે, “પ્રત્યેક વસ્તુને એક નહિ પણ વિવિધ બાજુઓ હોય છે. આમાંય પાછી ખાસ ખ્યાલમાં રાખવાની અને સમજી લેવાની વાત એ છે કે “આ અનેકધર્મોમાં પરસ્પરવિરોધી એવા ગુણધર્મો પણ હોય છે.”
આ બાબતની વિશેષ સમજણ આપણે આગળ મેળવીશું. હમણાં તો જે સપ્તભંગીનો ઉલ્લેખ કર્યો છે, તેનું જ નિરૂપણ કરીએ -
૧. અતિ એટલે, “છે.”