________________
૧૮
ક અનેકાંત અને સ્યાદ્વાદ
ભૂમિકા
બુદ્ધિપૂર્વક કોઇપણ વસ્તુને સમજવા માટે તર્કનો આશ્રય લેવાનું જરૂરી છે એ વાત તો હવે બરાબર સમજાઇ ગઇ. આ તર્ક કરવામાં, ઘણી વાર, ઘણી જગ્યાએ, ગોથું ખાઇ જવાનું સંભવિત છે, એ વાત પણ આપણે કબુલ કરી લીધી. હવે આગળ ચાલીએ.
કોઇએક અદાલતનું ચિત્ર, આપણા મનઃપ્રદેશમાં આપણે ઉભું કરીએ. ન્યાયાધીશ, ફરિયાદી, આરોપી, ફરિયાદ પક્ષના વકીલ, બચાવ પક્ષના ધારાશાસ્ત્રી, જ્યુરીના સગૃહસ્થો અને એ મામલામાં રસ લઇને સાંભળવા આવેલા પ્રેક્ષકો, એમ સાત પ્રકારના લોકો અહીં ભેગા થાય છે: કેસ ચાલે છે, બંને પક્ષનાં સાક્ષીઓની તપાસ થઇ ગઇ હોય છે, બંને પક્ષ તરફથી દલીલો થાય છે, ન્યાયાધીશ, જ્યુરીને પોતાની તરફથી દોરવણી આપે છે અને પછી, જ્યુરી એનો અભિપ્રાય આપી દે છે.
પછી, ચુકાદો આપવાનું કામ ન્યાયાધીશ માટે બાકી રહેછે.
ન્યાયાધીશ, આ ચુકાદો કેવી રીતે આપે છે ? ન્યાયના આસન પર બેસનાર આ ગૃહસ્થ પાસે કાયદાનું જ્ઞાન, અનુભવ અને આસનની Dignity-પવિત્રતા-આ ત્રણે હોય છે. કેસનું કામકાજ શરૂ થાય છે, ત્યારે, એ સાહેબ, ‘તટસ્થવૃત્તિના નિર્મળ સિંહાસન' ઉપર બેઠેલા હોય છે.
પોતે, તદૃન તટસ્થપણે, કોઇપણ જાતના પૂર્વગ્રહ વિના, લાંચરૂશ્વતથી પર રહીને, અદાલત સમક્ષ રજુ થએલા પુરાવાઓ તથા એ અંગે થએલી દલીલોને નજર સમક્ષ રાખીને, સ્થાપિત કાનુનની મર્યાદામાં રહીને, ઉચિત લાગે તેવો ચુકાદો સંભળાવે છે. અહીં, આ ન્યાયાધીશ સંપૂર્ણ રીતે તટસ્થ છે તથા ન્યાયવૃતિ પ્રત્યેની પોતાની ફરજ પ્રત્યે સંપૂર્ણ જાગૃત છે, એમ માનીને જ આપણે ચાલીએ છીએ.
આમ હોવા છતાં, એવી રીતે અપાયેલા બધા જ ચુકાદાઓ શું ન્યાયયુક્ત હોય છે? ઉપલી અદાલતોમાં જ્યારે અપીલ કરવામાં આવે છે, ત્યારે ઘણા ચુકાદાઓને પલટો ખાઇ જતા આપણે જોઇએ છીએ. આવી રીતે પલટાયેલા ચુકાદાઓ પણ, પૂર્ણ તથા ન્યાયયુક્ત જ હોય છે તેવું પણ હંમેશાં ક્યાં બને છે?
ન્યાય મેળવવા જનારા કેટલાકને ન્યાય મળતો જ નથી આવી ફરિયાદો આપણને સાંભળવા મળે જ છે. નિર્દોષ દંડાઇ જવાના અને ગુનેગાર છૂટી જવાના દાખલાઓ આપતો ન્યાય પણ આપણે ક્યાં નથી જોયો ?
અદાલતોમાં ન્યાય મેળવવા જવા માટેનાં કારણોમાં કોઇને કોઇ ઝઘડો હોય