________________
સાત નય
૯૯
સાત નય
પાછળના પાનાઓમાં આપણે નય, પ્રમાણ અને નિક્ષેપ વિષે સામાન્ય સમજણ મેળવી લીધી છે. આપણે એ જોયું છે કે આ બધા આપણને વસ્તુ અથવા પદાર્થ વિષે પોતપોતાની રીતે જ્ઞાન આપે છે. આ રીતે આપણને જે જ્ઞાન મળે છે તે ‘પ્રમાણભૂત જ્ઞાન' હોય છે.
જૈન તત્ત્વજ્ઞાન અંગે ભિન્ન ભિન્ન વિદ્વાનોને આપણે મળીએ, ત્યારે તેમાંના દરેક જણ જે ખાસ શાખામાં પ્રભુત્વ મેળવ્યું હશે, તેને લગતી વાત આપણને કરશે. એક જણ આપણને એ તત્ત્વજ્ઞાનની ઐતિહાસિક બાબત જણાવશે, બીજા પાસેથી એની સાંસ્કૃતિક બાબત જાણવા મળશે, ત્રીજા વિદ્વાન્ ગૃહસ્થ આપણને એની સાહિત્યસંભરતા સમજાવશે. આમ આપણને જુદા જુદા સ્થળેથી ભિન્ન ભિન્ન પ્રકારની વાતો જાણવા મળશે. એ બધાની વાતો ભેગી કરીશું તો સરવાળે તો એ બધી એક જ વિષયને લગતી, જૈન તત્ત્વજ્ઞાનને લગતી વાતો હશે.
એ બધા વિદ્વાનો પાસેથી આપણને ‘અભિપ્રાયો' પણ સાંભળવા મળશે. તત્ત્વજ્ઞાનની જે શાખાના તેઓ અધિકૃત જાણકાર હશે, તેને વિષે તેઓ પોતાનો અભિપ્રાય આપશે. એ બધાના અભિપ્રાયો આપણે ભેગા કરીશું, તો જણાશે કે તે બધામાં પિતૃવિષય સમા તત્ત્વજ્ઞાનના જ અંશો હશે.
એ દૃષ્ટિથી ‘નય’ વિષે આપણે વિચાર કરીશું તો જણાશે કે પ્રત્યક્ષ તથા પરોક્ષ પ્રમાણો દ્વારા જેમ વસ્તુનું સમગ્ર તરીકે યથાર્થ જ્ઞાન આપણને મળે છે, તેમ વસ્તુનાં આંશિક સ્વરૂપનો પરિચય આપણને નય દ્વારા મળશે. પદાર્થના ભિન્ન ભિન્ન અંગોનો, ભિન્ન ભિન્ન દૃષ્ટિથી અભિપ્રાય રજુ કરીને તેનો યથાર્થ પરિચય ‘નય’ આપણને આપે છે.
એટલે, આ ‘નય’ શબ્દનો અર્થ ‘અભિપ્રાય’ એવો પણ આપણે કરી શકીશું. પ્રમાણ એ જેમ શુદ્ધ જ્ઞાન છે, તેમ નય પણ એક શુદ્ધ જ્ઞાન છે. તેમાં તફાવત એટલો છે કે પ્રમાણ દ્વારા વસ્તુના અખંડ સ્વરૂપનું આપણને જ્ઞાન થાય છે. ત્યારે નય દ્વારા આપણને વસ્તુના અંશભૂત જુદા જુદા સ્વરૂપોનું જ્ઞાન થાય છે.
કોઇએક પ્રયોગશાળા (Laboratory) માં આપણે કોઇ એક વસ્તુ તેના વિશ્લેષણ માટે આપી આવીએ, ત્યારે એ વસ્તુનું પૃથક્કરણ-Analysis-કરીને, તે પ્રયોગશાળાનો વૈજ્ઞાનિક, આપણા હાથમાં એક લિસ્ટ મૂકશે. તે લિસ્ટમાં આપણે નજર નાખીશું તો જે વસ્તુનું એણે પૃથક્કરણ કર્યું તેમાં કઇ કઇ વસ્તુઓ કેટલા કેટલા પ્રમાણમાં છે તે આપણને સમજાશે.