________________
કષાયોના અભાવરૂપ ઉત્તમક્ષમાદિ-ધર્મ હોય છે તેમ શ્રાવકોને અનંતાનુબંધી આદિ બે કષાયોના અભાવરૂપ ઉત્તમક્ષમાદિ-ધર્મ હોય છે તથા અવિરતિ સમકિતીઓને અનંતાનુબંધી કષાયના અભાવરૂપ ઉત્તમક્ષમાદિ દશધર્મોનું પાલન હોય છે. આમ ગુણસ્થાનોની વિવિધ ભૂમિકાઓમાં ઉત્તમક્ષમાદિ દશધર્મની સંભવિત તારતમ્યતા પ્રતિ અંગુલી-નિર્દેશ કરી સામાન્ય શ્રાવકોને-ગૃહસ્થોને પણ ધર્મ પ્રતિ જાગૃત કરી ઉત્સાહિત કરવામાં લેખક મહોદયે સફળ પ્રયાસ કરેલો છે.
જગતમાં સંસારી પ્રાણીઓને ક્રોધાદિ વા મોહ-રાગ-દ્વેષાદિ વિકારીભાવો અનાદિથી છે તેથી તેઓ દુઃખી પણ ત્યારથી જ છે, કેમકે ક્રોધાદિ ભાવો સ્વયં દુઃખસ્વરૂપ અને દુ:ખના કારણ-સ્વરૂપ છે. જ્યારે ઉત્તમક્ષમાદિ દશધર્મ તે સર્વ સુખસ્વરૂપ અને સુખના કારણસ્વરૂપ, અને તેથી જ હર સમયે સર્વ સંસારીઓને તે સર્વત્ર ઉપાસનીય છે. આમ જે મંગળકારી. પર્વમાં આ ઉત્તમક્ષમાદિ ધર્મનું આરાધન કરવામાં આવે છે તે દશલક્ષણ મહાપર્વ સાર્વત્રિક અને સાર્વકાલિક છે. આ મહાપર્વ કોઈ સંપ્રદાયવિશેષ કે કોઈ કાળવિશેષમાં બંધાઈ શકતું નથી, તેથી તે શાશ્વત છે- એ હકીકત ખૂબ ખૂબીપૂર્વક ચર્ચા કરી લેખક મહોદયે પ્રારંભિક પ્રકરણમાં સિદ્ધ કરી છે.
પછીનાં પ્રકરણોમાં ઉત્તમક્ષમાદિ દશધર્મ સંબંધી નિશ્ચય-વ્યવહારની સંધિપૂર્વક અત્યંત સરળ, સુગમ, સુબોધ અને રોચક શૈલીમાં વિવેચન કરવામાં આવેલું છે. વિષય-વસ્તુની ચર્ચાને પ્રમાણભૂત કરનારાં આગમ-અધ્યાત્મગ્રંથોના અનેક પ્રમાણો પ્રસ્તુત કરી ધર્મના ઉત્તમ સ્વરૂપનું જોરદાર પ્રતિપાદન કર્યું છે. તેમ કરતાં ધર્મના બહાને સમાજમાં સાંપ્રતકાળમાં પ્રચલિત કેટલીક કુરીતિઓ અને કુરૂઢિઓ પર કોઈ-કોઈ સ્થાન પર માર્મિક આકરી ટીકા કરેલી છે અને તે અત્યંત ઉચિત જ છે. એમ કરવામાં લેખક મહાશયના મનમાં કોઈ પ્રતિ લેશ પણ નારજગી કે દુર્ભાવ હોવાનું માનવાને કારણ નથી, બલકે આ કુરૂઢિઓ અને કુરીતિઓને બરાબર દ્રષ્ટિગત કરી તેનો નાશપૂર્વક ઉત્તમધર્મનું સૌ શરણ પામે અને સૌ પરમ સુખી થાય એ જ એક માત્ર હેતું સ્પષ્ટ થાય છે. દરેક