________________
ચૈત્યવદન મહાભાષ્ય
. શંકાથી કલુષિત ચિત્તવાળો સાધુ અશુદ્ધની કલ્પના કરીને શુદ્ધ પણ ભાત-પાણીને અશુદ્ધ કરે છે, અથવા એષણાથી નિરપેક્ષ ભાવવાળો (= ભિક્ષા લેતી વખતે આ આહાર દોષિત છે કે નિર્દોષ છે એવા ઉપયોગ વિનાનો) સાધુ શુદ્ધ પણ ભાત-પાણીને અશુદ્ધ કરે છે. ' વિશેષાર્થ – એષણાના (આહાર ગ્રહણ કરતી વખતે લાગતા) દશ દોષોમાં શંકિત નામનો દોષ છે. તેનો અર્થ આ પ્રમાણે છે- શંકિત એટલે શંકાવાળું. જે આહારમાં આધાકર્મ આદિ દોષની શંકા થાય તે આહાર શંકિત દોષવાળો કહેવાય.
અથવા જે આહારમાં જે દોષની શંકા પડે તે આહાર લેવાથી કે વાપરવાથી તે જ દોષ લાગે. જેમકે આહાર શુદ્ધ હોવા છતાં આધકર્મ દોષની શંકા પડે તો તે આહાર લેવામાં કે વાપરવામાં આવે તો આધાકર્મ દોષ લાગે. અહીં ચાર ભાંગા છે. તે આ પ્રમાણે– (૧) શંકા પૂર્વક વહોરે અને શંકાપૂર્વક વાપરે. (૨) શંકા પૂર્વક વહોરે, શંકા રહિત બનીને વાપરે. (૩) શંકા વિના વહોરે, અને શંકાપૂર્વક વાપરે. (૪) શંકા વિના વહોરે અને શંકા વિના વાપરે. ગ્રહણ કરતી વખતે શંકિત હોવા છતાં વાપરતી વખતે નિઃશંક બની જાય તો તે આહાર શુદ્ધ ગણાય. આથી ચાર ભાગાઓમાં પહેલ અને ત્રીજો ભાગો અશુદ્ધ છે. બીજો અને ચોથો ભાંગો શુદ્ધ છે. એષણાથી નિરપેક્ષ ભાવમાં શુદ્ધ પણ આહાર અશુદ્ધ બને, અર્થાત્ નિર્દોષ આહાર વાપરવા છતાં જો દોષનો ઉપયોગ ન રાખે તો દોષ લાગે, એ વિષે દૃષ્ટાંત આ પ્રમાણે છે
એક ગામમાં ભદ્રક બુદ્ધિવાળો શ્રાવક હતો. તેને સાધુ-સાધ્વીની ભક્તિ ઉપર અતિશય રુચિ હતી, તેણે સાધુ-સાધ્વીઓને વહોરાવવા માટે ભોજન તૈયાર કરાવ્યું, અને માત્ર નામથી સાધુ હોય તેવા વેષધારી સાધુઓને પાત્રા ભરી ભરીને વહોરાવ્યું. નજીકના બીજા ગામમાં રહેનાર ગુણ વગરના સાધુએ આ વાત સાંભળી. આથી તે બીજા દિવસે ત્યાં ગયો. શ્રાવકે આવવાનું કારણ પૂછ્યું. તેણે કહ્યું. અહીં આવવામાં તમારી ઉદારતા સિવાય બીજું કોઈ કારણ નથી. ગયા દિવસે સાધુભક્તિ માટે બનાવેલા પક્વાનો ખલાશ થઈ ગયા હતા. એ દિવસે તેના ઘરે જમાઈ વગેરે