________________
1713 —૩૪: સંઘની ઓળખ, સૂરિપુરંદર શ્રી હરિભદ્ર સૂ.મ.ના શબ્દોમાં – 114 – ૫૨૫ વિદ્યાર્થીની વાત ન થાય, પછી તો ઝવેરાતનો ધંધો શીખનાર, કાપડિયાનો ધંધો શીખનાર વગેરે બધાને ત્યાં સ્થાન આપવું પડે. તો પછી ઉપાશ્રયોની હાલત શી થશે ? આજે તો આ બે સ્થાનોમાં બહા૨નું ભુલાય છે એ પ્રતાપ કોનો ? મનેકમને મર્યાદા સચવાય તેનો. અહીં દુનિયાદારીની વાતો ચાલે તો ભાવના પલટાય. જે દિવસે બહારની વાતો અહીં ગોઠવાઈ જશે ત્યારે સામાયિક પ્રતિક્રમણ વગેરે ગયાં સમજવાં. આવા બધા પણ દેવાદિ દ્રવ્યના ભક્ષણ કરનારા ગણાય. આવાને સંઘ ન ગણાય અને આવા પ્રકારના ઉન્માર્ગનો પક્ષ કરનારાને પણ સંઘમાં ન ગણાય.
મર્યાદા શી વસ્તુ છે, એ સમજો
સભા : 'કહે છે કે જગ્યા ખાલી પડી રહેતી હોય તો એનો ઉપયોગ કરવામાં વાંધો શો ?’
દેરાસરનો રથ રોજ નકામો પડી રહે છે તો તમારા છોકરાંને એમાં બેસાડીને રોજ ફેરવવો છે ? તમારા કબાટમાં ભરી રાખેલાં કપડાં રોજ વપરાતાં નથી તો બીજાને વાપરવા આપશો ? કરોડપતિના કરોડ તિજોરીમાં ખાલી પડ્યા રહે છે તો ગરીબો જઈને લઈ આવે ને ખાય તો વાંધો શો ? મર્યાદા શી વસ્તુ છે એ બરાબર સમજો. સાચો ઉદાર પણ મર્યાદા નહિ લોપે. જો મર્યાદા વિનાની ઉદારતા તમને માન્ય હોય તો તમારે ત્યાં રોજ ચાર જ કેમ જમે, ચાલીસ કે ચારસો કેમ નહિ ? ઉદારતાની સામગ્રીનો સદુપયોગ કરે એ દાતા પણ જો બીજાઓને લૂંટવા દે તો ઘર-વ્યવહાર ચાલે ? એવા દાતા૨ને બીજે દિવસે હાથમાં શકોરું લેવું પડે. મર્યાદા બધે જોઈએ. ચોરને પણ વ્રતધારી શ્રાવકે છોડાવ્યાનાં દૃષ્ટાંતો છે પણ એ આખી વાત જુદી છે. એને ન છોડવાય ત્યાં સુધી પારણું પણ નહિ કરવાના અભિગ્રહનાં દૃષ્ટાંત આવે છે. પણ એ વાત અલગ છે. ત્યાં તો સામો આત્મા સુધી પણ જાય. એ વખતે પેલા ચોરની હાલત કઈ થાય ? એ રીતે છોડાવનાર દયાળુઓએ પણ ચોરીને પુષ્ટિ નથી આપી. પ્રસંગે એમ બને એ વાત જુદી સમજવી, પણ એ રીતસરનો રિવાજ નહિ . જો એમ બોલાવીને લઈ જવા દેવામાં આવે તો તો ઇરાદાપૂર્વક પાપ તથા પાપીનું પોષણ થાય. પ્રસંગે ધર્મી દયાર્થી આંખમીંચામણાં કરે એ વાત જુદી અને મર્યાદાનો લોપ કરે એ વાત જુદી. પહેલા અણુવ્રતમાં નિરપરાધી ત્રસ જીવને સંકલ્પપૂર્વક હણવાની બુદ્ધિએ હણવો નહિ એવો નિયમ કેમ ? બધા ત્રસ માટે નિયમ હોત તો તો સાધુ જ ન થાત ?