________________
૪૯૭ સંઘ સ્વરૂપે દર્શન ભાગ-૩
1654 કોઈ એમ કહે કે, “બસ ! મંદિરમાં આ જ દેખાય ? બીજું કશું નહિ ?' તો કહેવાનું કે, “ત્યાં તો એ જ હોય. બીજું કશું ન હોય.' કાપડિયાની દુકાને જ્યાં આંખ ફેરવો ત્યાં કાપડ જ દેખાય, ગાંધીની દુકાને કરિયાણાં જ દેખાય. ત્યાં ગોળ, ખાંડ કે ઘી, તેલ જોવા માંગો તો ન જ મળે. મુંબઈમાં તો વળી એ તમામ ચીજોનાં બજાર પણ અલગ. જેમ કે, ખાંડ બજાર, ભાત બજાર, ખારેક બજાર, કાળા બજાર વગેરે.
શ્રી જિનમૂર્તિ અને જિનમંદિર તો વીતરાગતામય છે. શ્રી જિનેશ્વરદેવે કહેલી વાણી જે ગણધર દેવોએ સૂત્રમાં ગૂંથી અને પૂર્વાચાર્યોએ ભાગ, ચૂર્ણ, ટીકા વગેરેમાં ખીલવી તે આગમ. આ ત્રણ પાત્રમાં તો વાંધો નથી, તે પછીનાં ચાર પાત્રો, સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા એમાં જરા પંચાત વધારે છે. જો કે પહેલાં ત્રણ પાત્રોમાં પણ સાવ પંચાત નથી જ એવું નહિ છતાં ત્યાં અલગ એવું કરી નાંખ્યું છે કે ખાસ ગૂંચવાડો રહેવા પામે નહિ. જેમ કે શ્રી જિનેશ્વરદેવની મૂર્તિ હોય, પણ એના હાથમાં માળ હોય તો એ ન મનાય. કેમ કે એ અજ્ઞાનતાનું ચિહ્ન છે.
સભાઃ “એને પણ હજી કોઈ ભજવા યોગ્ય છે એમ થયું.”
એ મુદ્દો પછી, પહેલો મુદ્દો અજ્ઞાનતાનો. માળા કોણ રાખે ? ગણવામાં ભૂલ થતી હોય, યાદ ન રહેતું હોય છે. બીજો મુદ્દો, “હજી પણ તેને કોઈ ભજવા યોગ્ય છે.” એ શ્રી જિનમૂર્તિમાં રાગ, દ્વેષ, મોહ, અજ્ઞાન એ કશાનું ચિહ્ન ન જોઈએ. શ્રી જિનમૂર્તિ બે જ મુદ્રામાં હોય કેમ કે છેલ્લે મુક્તિગમન વખતની એ બે જ મુદ્રા છે. કાયાના યોગો રૂંધાઈ જાય અને મુક્તિ પમાય તે વખતની શ્રી તીર્થંકર દેવોની આ બે પ્રકારોમાંની ગમે તે એક પ્રકારની મુદ્રા હોય છે. એમાં જેને કલાવિહીનતા લાગે તેવાને માટે આ મંદિરોમાં સ્થાન નથી. “નિસહી' કહીને વિલાસની કળાને પણ વોસિરાવે તે અહીં આવે. વૈરાગ્યની કળા તો મૂર્તિમાં ઠાંસી ઠાંસીને ભરી છે. નવો જોવા આવનારો પણ એ વાત કબૂલે તેમ છે. સમચતુરઢ સંસ્થાન વગેરે યથાવિધિ જોઈએ. ચક્ષુ, શ્રીવત્સ, તિલક વગેરે આપણે કેમ કરીએ છીએ તે સમજો. શ્રી જિનેશ્વરદેવના અંગ કંચન વર્ણનાં અને રત્ન સમાન તગતગે એવાં છે. નેત્રો વગેરે વધારે તગતગતાં છે. શાસ્ત્રોમાં મૂર્તિનાં વર્ણન આવે છે. તેમાં આંખની કીકીને શ્યામ મણિ સાથે સરખાવી છે. આ બધા રત્નોના દેખાવ તરીકે આપણે શ્રીવત્સ, ચક્ષુ, તિલક વગેરે કરીએ છીએ. પરમાત્માના શરીરનો આબેહૂબ ચિતાર આપવા માટે એ બધું કરવામાં આવે છે. શક્તિના અભાવે ન થઈ શકે એ વાત જુદી.