________________
૪૭૪
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩
1652
સુપાત્રની ભક્તિમાં બધું જોવાનું ઃ
સત્પાત્રમાં, સાચા સાધર્મિકમાં અનુકંપા કરે તે તેમની આશાતના કરનારા છે. એ જ રીતે 'અમે તો વેષ જોઈએ' એમ કહીને ગમે તેવું નિભાવનારા અને એવાની પણ સુપાત્ર તરીકે ભક્તિ કરનારા પણ અજ્ઞાનતાથી સ્વ-૫૨નો નાશ નોતરનારા છે. કેટલાક કહે છે, ‘અમે એવી ઝીણવટમાં ક્યાં ઊતરીએ ?' એમને પૂછો કે, દુનિયાના વ્યવહારમાં કોઈ અજાણ્યો ભપકાદાર કપડાં પહેરી નવી જ મોટરમાં ઊતરીને આવે એટલે લાખ રૂપિયાનો ચેક આપી દો છો કે ઝીણવટમાં ઊતરો છો ? કયા ગામના, ક્યાંથી આવ્યા, કોની પેઢી, શો સંબંધ વગેરે તમામ વાત પૂછે કે નહિ ? કદી પૂછ્યા વગર આપે ને પેલો નાદાર થાય તો લાખ જાય કે નહિ ? કોર્ટમાં ફરિયાદ કરે અને કહે કે, ‘હું તો એને શરાફ માનતો હતો. પણ આ તો કાલે લઈ ગયો અને આજે નાદાર થયો, એ કેમ ચાલે ? માર લઈ ગયેલા પૈસા એણે ક્યાં નાંખ્યા ?' તો કોર્ટ એ કાંઈ ન સાંભળે. એ તો કહી દે કે તું શરાફ માન કે શાહુકાર માન પણ એ નાદાર થયો એટલે હવે તારું કાંઈ ન ચાલે, પછી ભલે એ સવારે લઈ ગયો અને સાંજે નાદાર થયો, તારા પૈસા એણે ગમે ત્યાં નાંખ્યા પણ નાદાર થયો એટલે વાત પતી ગઈ. તારે હવે એના નામનું નાહી નાંખવાનું. બધી વાત ભૂલી જવાની. જેવું ત્યાં એવું અહીં. માટે જ્ઞાની કહે છે કે સુપાત્રની ભક્તિમાં બધું જોવાનું. આંખો મીંચ્યું ત્યાં ન ચાલે.
ધર્મીનાં ઘરોમાં શું જોવા મળે ? :
ભક્તિના પાત્ર તે સુપાત્ર. જ્ઞાનીએ તે સાત કહ્યા અને સાતેનાં લક્ષણ બાંધ્યાં. પહેલા ત્રણ તે શ્રી જિનમૂર્તિ, શ્રી જિનમંદિર અને શ્રી જિનાગમ. આ ત્રણમાં તો ક્યાંય વાંધો આવે એવું નથી. એ એવાં રૂઢ છે કે એમાં કદી આજના કેટલાક ગમે તેવી બૂમો મારે તો પણ તેમનું કાંઈ વળે નહિ. દરેક મંદિરમાં બે જ પ્રકારની મૂર્તિ જોવા મળે. પદ્માસને રહેલી અને કાયોત્સર્ગમાં રહેલી. આ સિવાય કોઈ ત્રીજા પ્રકારની મૂર્તિ જોવા ન મળે. આજના સુધારકોને એમાં કળા નથી દેખાતી. એવા કળાના રસિયાઓને કહી દેવું કે તમારું અહીં કામ પણ નથી. એવા ભલે નાટક સિનેમામાં, પફ પાવડરના થપેડા કરી કાળાના ધોળા બનનારાઓમાં અને પુરુષ મટી સ્ત્રી બનનારાઓમાં કળાનાં દર્શન કર્યા કરે. એવા કળાપ્રિયોને ત્યાં જ રહેવા દો. એવા વિલાસીઓનું આ મંદિરોમાં કામ શું છે ? જે મૂર્તિની આંખમાંથી અમી ઝરે, મુખ પર પ્રસન્નતાં ઝળકે, અંગેઅંગમાંથી વીતરાગતા પ્રસરે ત્યાં જેમને કળા ન દેખાય એવા તો દૂર રહ્યા જ સારા.