________________
૩૯૮ - સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩
1535 મુનિસુવ્રતસ્વામી એક રાતમાં સાઠ યોજના ગયા હતા. નિર્ધામણા કરાવવા જવાય પણ પાછી બીજી કોઈ લપ્પનછપ્પનમાં ન પડાય. મુનિ શું સમજાવે ?
સાધુ તો એમ જ સમજાવે કે, “રોગ તો ભલભલાને આવે, અમને ને તમને બેયને આવે, કર્મ કોઈને છોડતું નથી, તું દવા કરે છે તેનો ઇન્કાર નથી પણ કોઈ - એવો ઉપચાર ન કરતો કે જેથી પાપની ખરીદી થાય અને દુર્ગતિમાં જવું પડે.”
દરદી કહે કે, “પણ સાહેબ ! રાત્રે પાણી વિના ચાલતું નથી.”
ત્યારે સાધુ કહે કે, “ભાઈ ! તું જ કહે છે કે હવે મોત નજીક છે. એ જ્યારે આવશે ત્યારે આખું જીવન જશે તોય ચલાવવું પડશે તો હમણાં એક પાણી વિના કેમ ન ચાલે ? એક રાત પાણી વિના ન રહી શકાય ?” • •
દરદી કહે કે, “સાહેબ ! પણ સહન થતું નથી.”
સાધુ સમજાવે કે, “ભાઈ ! સમતા રાખી સહન કર, જો નરકાદિમાં ઘસડાઈ ગયા તો તપાવેલા તાંબાના રસ પીવા પડશે ત્યાં શું થશે ? પાણીની તૃષા સહેવી એ તો સ્વાધીન વાત છે પણ નરક તિર્યંચ ગતિમાં ભૂખ તરસ પરાધીનતાએ વેઠવાનાં છે અને પારાવાર પીડા ભોગવ્યા વિના ત્યાં છૂટકો થવાનો નથી. સ્વાધીનપણે તકલીફ ભોગવવાની શક્તિ છતાં પણ ભોગવનારા અજ્ઞાન છે. આ લોકમાં સારું સારું ખાવાનું મળે, મેવા મીઠાઈના થાળ ભર્યા હોય છતાં એ કાંઈ નહિ ખાતાં ઉપવાસ કરે તે તપ કહેવાય અને નારકીમાં કાયમ ભૂખે મરવાનું છે છતાં એ તપ ન કહેવાય.
સભાઃ “નિર્ધામણાનો અર્થ શો ?'
સામા આત્માને દ્રવ્યપ્રાણની અસારતા સમજાવી એની દૃષ્ટિ ભાવપ્રાણ તરફ ખેંચવી અને એને એમાં લીન કરવો તેનું નામ નિર્ધામણા. આવી નિર્ધામણા કરાવવા સાધુ જરૂર જાય. પણ “તને કેમ છે ? આ શું થઈ ગયું ? શરીર બહુ લેવાઈ ગયું છે ! ફલાણા વૈદ્ય કે ડોક્ટરની દવા કરો !” આવી આવી વાતો કરવા સાધુ ન જાય. આત્માની દવા કરે તે સાધુ અને શરીરની દવા કરે તે ડૉક્ટર.
સભાઃ ડૉક્ટરો જેમ વધારે હોય તેમ સારું ને ?' - શરીરના પ્રેમી જીવો ડૉક્ટરો વધારે હોય એમ ઇચ્છે ને આત્માના પ્રેમી જીવો સાધુઓ વધારે હોય તેમ ઇચ્છે છે. જ્યાં સુધી ભાવરોગ જશે નહિ ત્યાં સુધી દ્રવ્યરોગ કોઈ કાળે નાબૂદ થવાના નથી. આજે જેમ જેમ ડૉક્ટરો વધતા જાય છે તેમ તેમ રોગો પણ વધતા જાય છે.