________________
૩૯૨
–
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩
15:30
દ્રવ્યદયા અને ભાવદયા વચ્ચેનો ભેદ :
અનંત ઉપકારી સૂત્રકાર મહર્ષિ શ્રી દેવવાચક ક્ષમાશ્રવણજી હવે શ્રીસંઘરૂપ મેરૂ પર્વતમાં રહેલી જીવદયા રૂપી ગુફાઓનું વર્ણન કરે છે. એ ગુફાઓમાં તપમાં લીન એવા મુનિવરોનો વાસ છે, જેઓ કર્મરૂપી શત્રુનો નાશ કરવા સદા તત્પર રહે છે. કર્મનો જય કરવા ઉદ્દામ બનેલા એ તપસ્વી મુનિવરો કુમતવાદીઓ રૂપી હરણિયાઓ પ્રત્યે સિંહ જેવા છે. જૈનશાસનની એકએક કાર્યવાહીમાં, તેના એક-એક એનુષ્ઠાનમાં જીવદયા છે. એ જીવદયા બે પ્રકારની - દ્રવ્યદયા અને ભાવદયા.
દ્રવ્યદયા તો જૈનેતરો પણ કરી શકે છે. દુઃખીને જોઈને દયા આવવી તે સહજ છે. શ્રી જિનેશ્વરદેવે ફરમાવેલી ભાવદયા આવવી કઠિન છે. જેને પોતાના આત્માની ચિંતા હોય તેને જ ભાવદયા આવે. એ જેને ન હોય તેને ભાવદયા આવી શકતી નથી. જેને પોતાના આત્માની દયા ન હોય એને ન તો પારકાની ભાવદયા આવે, ન તો જ્ઞાની પ્રત્યે ભક્તિનાં પરિણામ આવે, ન તો એ સુપાત્રમાં વિધિપૂર્વક દાન દઈ શકે કે ન તો કુપાત્રનું પોષણ કરવાના પરિણામે લાગતા પાપથી બચી શકે. અન્યની વાસ્તવિક દયા એ ન કરી શકે, તેમજ ઉપકારીની સાચી ભક્તિ પણ એ ન કરી શકે. સુપાત્રદાનની પણ તેવી પરિસ્થિતિ એને ન હોય. એ જે કાંઈ કરે તે બધું ઓઘ રીતે કરે.
ભાવદયા આવે ત્યાં આખી દશા ફરી જાય. ભાવદયા જેને આવે તે જ સાત ક્ષેત્રની ભક્તિ વાસ્તવિક રીતે કરી શકે. દુઃખીને દેખીને દયા આવે તે દ્રવ્યદયા અને ધર્મહીનને દેખીને દયા આવે તે ભાવદયા. ભૂખ્યા, તરસ્યા કે બીમાર આદિને જોઈને તો સૌ કોઈને દયા આવે. કોઈક જ મહાક્રૂર હોય તેને ન આવે. પરંતુ દ્રવ્યદયાની સફળતા ભાવદયાની છે. આપત્તિ શાથી આવે છે એ સમજાય ત્યારે દ્રવ્યદયા એ ભાવદયાનું કારણ બને છે. આપત્તિ પાપના યોગે થયેલા કર્મબંધના ઉદયે આવે છે ને ? ધર્મીને ભૂખ્યા, તરસ્યા કે રોગી કરતાં ધર્મહીનને જોઈને ઘણી દયા આવે. ત્યાં એનું હૃદય ખૂબ દ્રવે. એ ભાવદયાના અભાવે બધાં જ દુઃખ બેઠાં છે. સમ્યગુદષ્ટિ એટલે ભાવદયામય બનેલો આત્મા. સંસારને સાચા સ્વરૂપે ઓળખે અને એનાથી ડરે, પાપથી ડરે તેમજ મોક્ષને સદા ઝંખે એ સમ્યગુદૃષ્ટિ. એને ધર્મહીનની દયા ન આવે ? આવે જ.-સમ્યગુદૃષ્ટિને દ્રવ્યાનુકંપા તો હોય જ પણ દુઃખી સામે આવે ત્યારે પણ એના હૃદયમાં ભાવદયા તો કાયમ હોય. સઘળી દયા સ્વદયા માટે જ છે. બીજાની હિંસા ન કરવી તે પણ પોતાના આત્માની થતી હિંસાથી બચવા માટે છે.