________________
૩૮૨
- સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩
- 1570 શ્રી જિનેશ્વરદેવ કેટલા ઉપકારી કે જેમણે મોક્ષની સાધનાના હેતુભૂત સાધુના શરીરની રક્ષા માટે પાપરહિત એવી વૃત્તિ (ભિક્ષાચર્યા) બતાવી છે. મુનિ ભિક્ષા લાવીને રોજ આ ભાવના ભાવે એવી વિધિ છે. સાધુનું શરીર મોક્ષની સાધનામાં જ હેતુભૂત છે, તેથી એને માટે અસાવદ્ય એવી ભિક્ષા શ્રી જિનેશ્વરદેવે પણ કહી. સાધુ સઘળાં પાપથી વિરમેલા છે. હિંસા, જૂઠ, ચોરી, મૈથુન અને પરિગ્રહ એ પાંચે પાપ અથવા અઢારે પાપસ્થાનક તેમણે વોસિરાવેલા છે. દુનિયાની કોઈ પણ ચીજ અકૃત (પોતે નહિ કરેલી), અકારિત, (પોતે નહિ કરાવેલી) અને અનનુમત (એટલે પોતે નહિ અનુમોદેલી, એને પોતે સારી નહિ કહેલી) હોય તો એ ચીજ મુનિ લે, છતાં એના પાપનો અંશ પણ એને ન લાગે. જે શબ્દો બોલ્યો તે બરાબર યાદ રાખજો. ભોજનમાં છએ કાયની વિરાધનાઃ
ભોજન બનાવવામાં છએ કાયની વિરાધના છે. અગ્નિ વિના તો રસોઈ થાય જ નહિ. અગ્નિ એ ચોધારું શસ્ત્ર છે. ચોતરફ જીવોને બાળે છે. ઊંચે, નીચે, આજુબાજુ દરેક તરફ એનાથી અનેક જીવો બળી મરે છે. રસોઈ પકાવવામાં પૃથ્વીકાય, અષ્કાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય અને ત્રસકાય એ છએ કાયની વિરાધના રહેલી છે. હજી આગળ વિચારો ! એક રોટલી પણ બને ક્યારે ? અનેક પાપસ્થાનક ભેળાં થાય ત્યારે એક રોટલી બને. વિચારે તેને આ વાત દીવા જેવી સમજાય તેમ છે; પણ વિચારે કોણ ? ખેડૂત અને ખેતી વિના ઘઉંની રોટલી બને ? મા-બાપ વિના ખેડૂત હોય ? લગભગ બધાં પાપસ્થાનક એક રોટલીમાં રહ્યાં છે છતાં, પોતે નહિ કરેલ, નહિ કરાવેલ, નહિ અનુમોદેલ રોટલી સાધુ લે છે અને તેથી એને દોષ લાગતો નથી. સાધુ પણ વહોરીને આવ્યા પછી એ રોટલીનાં વખાણ કરે, લાવેલી ગોચરી ઉપર રાગ કરે, તો એને પણ પાપનો અંશ લાગે.
સભાઃ “સાધુ કંદમૂળ લે ? એ અકૃત, અકારિત અને અનનુમોદિત હોય તો શો
વાંધો ?'
ના, ત્યાં પાપ છે. એ ચીજ જ નિષિદ્ધ છે અને એ ચીજ વિષયને વધારનારી છે. ઘી, દૂધ, કાંઈ તામસી કે રાજસી પ્રકૃતિ કરતાં નથી, ઊલટી સાત્ત્વિક પ્રકૃતિ કરે છે; જ્યારે અનંતકાય તો વિષયને વધારનારાં છે. સાધુને અમુક હેતુ માટે જેમ ઘી-દૂધનો નિષેધ છે, તેમ અમુક હેતુ માટે ઘી-દૂધની છૂટ પણ છે. જ્ઞાનીની દૃષ્ટિએ તો વિગઈ માત્ર વિકારક છે. મુનિ માટે વિગઈનો પ્રતિબંધ છે. મુનિ કારણ વિના કદી વિગઈનો ઉપભોગ ન કરે.