________________
૩૩૪
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩
મોહરાજાના ભામટા દૂતો :
ગ્રંથકાર વર્ણન કરે છે કે ભવચક્રપુરમાં વિવેકગિરિ ઉપર જૈનશાસન નામનું નગર છે. ત્યાં પણ મોહરાજાના ભામટા દૂતો ભરાયેલા છે એટલે ત્યાં વસનારાઓએ પણ ગફલતમાં રહેવા જેવું નથી. એ ઉઠાવગીરો ત્યાં પણ એમની કળા અજમાવ્યા વગર રહે એવા નથી. એ વિવેકરૂપી પહાડ પર કોઈ ચડવા જાય કે તરત છૂપી રીતે પગ ખેંચીને પટકનારા ત્યાંયે ગોઠવાયેલ જ છે. અન્યાય, અનીતિ અને અધર્મ ચારે તરફ પ્રસરેલા છે. શાસ્ત્રકારો કહે છે કે આમાં કોની સાથે અને કેટલાની સાથે બાઝવા જઈએ ? અન્યાય, અનીતિ, અધર્મ ઉપરાંત હિંસા, જૂઠ, ચોરી, પ્રપંચ, અનાચાર, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ આ બધા રૂપક ભેદે સર્વત્ર છે, પછી આશ્ચર્ય શું? આશ્ચર્ય તો કોઈ નીતિવાન બને, કોઈ સદાચારી બને એમાં છે, એમ શાસ્ત્ર કહે છે. શ્રી તીર્થંકરદેવોએ કહ્યું કે, “જૈનશાસન આશ્ચર્યભૂત છે માટે તો એને લોકોત્તર કહ્યું, કેમ કે એ ક્યાંક જ હોય. ભરત ક્ષેત્રના બત્રીસ હજાર દેશમાં ફક્ત સાડા પચીસ દેશમાં જ ધર્મ છે. એમ કેમ ? બધે કેમ નહિ ? નહિ જ વળી. એમાં પ્રશ્ન શો ? એ સાડા પચીસ દેશમાં પણ જૈનશાસન કેટલી જગ્યાએ ? અને જ્યાં જૈનશાસન છે ત્યાં પણ એ આત્માઓના હૈયામાં જૈનશાસન કેટલા પ્રમાણમાં ? કોઈ પૂછે કે આમ કેમ ? તો કહેવું પડે કે એ આશ્ચર્યભૂત છે માટે. જાતમાં પણ અન્યાય ભર્યો છે?
અકર્મભૂમિમાં પણ પ્રભુશાસન નથી. ત્યાં કલ્પતરુ ફળે છે, ત્રણ દિવસે ભૂખ લાગે છે, કષાયો ઓછા છે અને ત્યાંથી મરીને એ જીવો નિયમા દેવલોકમાં જાય છે, છતાં ભગવાનનું શાસન પામવાની યોગ્યતા ત્યાં પણ નથી. શાસન અમુક જગ્યાએ જ રહે અને તે પણ કર્મભૂમિમાં જ. અયોગ્ય કર્મોથી ભરપૂર દુનિયામાં સુકર્મ કરનારા નીકળે એ જ આશ્ચર્ય. અકર્મભૂમિમાં આયુષ્યની કે દેહના પ્રમાણની વધઘટ ભલે હોય પરંતુ તે સિવાય બધી સ્થિતિ લગભગ એકસરખી છે. અહીં કર્મભૂમિમાં તો બધી વિષમતા છે તેથી ત્યાં વસ્તુની પ્રાપ્તિ કઠિન છે. કેટલાક કહે છે કે, “અમારે અન્યાય સાથે વૈર છે.” તો તપાસ કરો કે અન્યાય ક્યાં છે અને ક્યાં નથી ? તમારી જાતમાં અન્યાય નથી ? તમારી આંખો ક્યાં ખેંચાય છે ? ગમે તેવો ઉદાર શેઠિયો પણ લક્ષ્મીન વારસો કોને આપે ? પોતાની ઉદારતાનો લાભ ભલે બીજાં ક્ષેત્રોને આપે પણ લક્ષ્મીનો માલિક કોને બનાવે ? પોતાનું બાળક ભૂલ કરે તો કહે કે “હોય, બચ્યું છે પણ પારકું બાળક હોય તો જુદી રીતે વર્તે. પોતાની સાથે બેસનારા સારા અને સાથે