________________
૩૦૨ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩
-- 1490 એ જ રીતે શ્રીસંઘમેરૂના સંતોષરૂપી નંદનવનનો આનંદ લૂંટવાના અધિકારી સાધુઓ જ ગણાય. ઊંચા પ્રકારના નિયમોમાં આવ્યા વિના અશુભ પરિણામ જતાં નથી; એ ગયા વિના શુભ પરિણામ આવતાં નથી, શુભ પરિણામ આવ્યા વિના કર્મ ખસતાં નથી, કર્મ ખસ્યા વિના ચિત્ત વિશુદ્ધ બનતાં નથી, ચિત્ત વિશુદ્ધ બન્યા વિના નિરંતર સૂત્રાર્થનું સ્મરણ થતું નથી, એના સ્મરણ વિના ચિત્ત ઝળહળતાં બનતાં નથી, આટલું થયા પછી જ સંતોષ આવે; માટે જ કહ્યું કે સાધુઓ જ એ નંદનવનરૂપી સંતોષનો આનંદ લૂંટી શકે છે. ' . . ખામી શ્રદ્ધાની કે ભાવનાની ?
સાધુઓનો પુરુષાર્થ કેવળ મોક્ષ માટે છે. સુખના અર્થીએ સઘળો પુરુષાર્થ કેવળ મોક્ષ માટે જ કરવો ઘટે. અર્થકામનો પુરુષાર્થ ફળે પણ ખરો અને ન પણ ફળે. એની સફળતા ભાગ્યાધીન છે. એ પુરુષાર્થ નં ફળે તો વર્તમાનમાં હાનિ છે જ અને ફળે તો વર્તમાનમાં તકલીફ ન દેખાય પણ ભાવિમાં તકલીફ નિર્માયેલી જ છે. જ્ઞાની કહે છે કે, “પુરુષાર્થ એવો કરો કે જીવન નિર્ભય બને.” મોક્ષ માટે પુરુષાર્થ કરનારને આપત્તિ હોતી જ નથી માટે જ્ઞાનીએ એ પુરુષાર્થ ફરમાવ્યો છે.
મોક્ષ માટેનો પુરુષાર્થ ધર્મ છે. એ ધર્મ કાં તો મુક્તિ આપે અને મુક્તિ ન આપે ત્યાં સુધી અર્થકામ તો છે જ. પણ જ્ઞાનીના વચન પર, જ્ઞાનીના બતાવેલા માર્ગ પર વિશ્વાસ છે ? ખામી શ્રદ્ધાની છે કે ભાવનાની ? તમારી નજર સામે રહેલાં દૃષ્ટાંતો ઉપર પણ શ્રદ્ધા છે કે નહિ ? એવા પણ પુણ્યાવાન થયા છે કે જેને ઘર કેમ ચાલે છે તેની ખબર જ નહોતી. જિંદગીભર ભોગ ભોગવ્યા અને મન થયું ત્યારે ચાલી નીકળ્યા. શ્રી શાલિભદ્રજી કમાવા નહોતા ગયા; પરંતુ પૂર્વે ધર્મ એવો આચરેલો કે બધું આપોઆપ આવી મળ્યું. આ બધી વાતો હૃદયમાં સ્થિર થઈ હોય તો મોક્ષને વિસરીને અર્થકામમાં જ આત્મા મશગૂલ બન્યો રહે એ હાલત હોય ? આજે ધર્મ તરફ લગભગ બેદરકારી અને અર્થકામમાં એકાકારપણું છે તે હોય ? ન જ હોય. ચોવીસ કલાકમાં મોક્ષ કેટલી મિનિટ યાદ આવે ? મોક્ષ ભુલાય એટલે ધર્મ તરફ બેદરકારી થાય અને અર્થકામમાં ગુલામી વધે જ. શ્રી જિનેશ્વર દેવના સંઘની આ સ્થિતિ ન હોય. જ્ઞાનીનું કહેલું કાં તો હૃદયમાં જચતું નથી, કાં તો એને યાદ રાખવા કે સ્થિર કરવા મહેનત નથી. જચતું હોય તો એને માટે મહેનત ન થાય એ પણ ન બેસે તેવી વાત છે. કદી મહેનત ન થાય તો પણ એને માટે પશ્ચાત્તાપ ચાલુ હોય તોય લાભ થાય.