________________
1467 – ૧૮ : અર્થકામ માટે પુષ્ય : મોક્ષ માટે પુરુષાર્થ – 98 - ૨૭૯ પુણ્યયોગે બધું આપોઆપ થાય છે?
મોક્ષ માટેનો પુરુષાર્થ એવો છે કે એ પુરુષાર્થ કરનાર માટે આગળની બધી તૈયારી આપોઆપ થાય છે. રાજાની સવારી આવે તે પહેલાં નગરની શેરીઓ આપોઆપ સાફ થઈ ગઈ હોય. રાજા કાંઈ સાફ કરવા માટે કહેવરાવે નહિ. રાજ્યનો અમલદાર રાજાના આગમનની ખબર નગરજનોને આપે એટલે આખું નગર સાફ અને સુશોભિત થાય જ. એ બધું પુણ્યયોગે થાય છે. તમે ક્યાંય જાઓ ત્યાં કશું ન થાય, પણ શ્રી જિનેશ્વરદેવો જ્યાં પધારવાના હોય ત્યાં દેવતાઓ અગાઉથી બધી તૈયારી કરી જ રાખે. ભગવાન માતાના ગર્ભમાં આવે ત્યાં જ તૈયારીઓ થવા માંડે. ભગવાન દેવલોકથી ચ્યવે ત્યાં જ ઇંદ્રનું સિંહાસન કંપાયમાન થાય. જમ્યા પહેલાં માતાને ઉત્તમ સ્વપ્નો આવે. માતા આનંદવિભોર હોય. જમ્યા પહેલાં જ દેવતાઓ એ ઘરને ધનધાન્યથી અને ઋદ્ધિ સિદ્ધિથી ભરપૂર કરી દે. એમને કમાવા જવું જ ન પડે. દેવતાઓ એમની નોકરી કરવા લાગી જાય, તે પણ વેઠ માનીને નહિ પણ પોતાનો ધર્મ માનીને અહોભાવથી એ બધું કરે છે.
શ્રી તીર્થંકરદેવને સ્તનપાનની, ખાવા-પીવાની, ભણવા-ગણવાની કશાની ચિંતા નહિ. એમની એ બધી ચિંતા ઇંદ્ર કરે છે. એમને કોઈ વાતની પરાધીનતા નહિ. બીજાને તો સ્તનપાન કરવું હોય તોયે માતાની મરજી થાય ત્યારે થાય. “ઊંઊંકર્યા કરે પણ માતા નવરી થાય ત્યારે કરાવે ને ? શ્રી તીર્થંકરદેવના આત્માને બાલ્યપણામાં ઇંદ્ર એમના અંગૂઠામાં જ અમૃતનો સંચાર કરે, જેથી સ્તનપાન માટે માતાની અપેક્ષા જ ન રહે. ભગવાનને રમત-ગમતની ઇચ્છા નથી હોતી તો પણ દેવતાઓ કુમારનાં રૂપ લઈ લઈને એમની સાથે ક્રીડા કરવા આવે છે. એમના ચિત્તને કોઈ પણ રીતે ખુશ રાખવું એ જ મુદ્દો છે. આ બધું પુણ્યથી, મોક્ષ માટે કરાયેલા પ્રયત્નથી થાય છે. અર્થકામ માટે પ્રયત્ન કરનારાને તો અશુભના બંધ થાય છે; માટે પુરુષાર્થ તો એકલા મોક્ષ માટે જ ઘટે. અર્થકામ માટે પુરુષાર્થ કરનારાનો તો પૂર્વનો ધર્મ ખવાઈ જાય છે, ચિંતાની સગડી વળગે છે, ક્યારેક અર્થકામ ભાગી પણ જાય છે અને અંતે આત્મા દુર્ગતિમાં ચાલ્યો જાય છે. ધર્મ માટે પુરુષાર્થ કરનારને કદી દુર્દેવના યોગે લક્ષ્મી ન પણ મળે તો પણ એ મજેથી જીવે છે. એને કુટુંબી પણ એવા મળે કે ઘરના દારિદ્રયની વાત કોઈ બહાર જાણવા પણ પામે નહિ. ઘરની સ્ત્રી પણ એમ જ કહે કે “ચિંતા ન કરો, ધર્મપ્રભાવે બધાં સારાં વાનાં થશે.”