________________
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩
ન જતા. લડતા પણ ન્યાયથી જ. અન્યાયથી કદી લડવાનું નહિ. જ્યાં અન્યાય દાખલ થયો ત્યાં તેનું ખંડન પણ બરાબર થયું. ભીમસેન ને દુર્યોધન લડતા હતા. દુર્યોધન કેમેય કરી મરાતો ન હતો ત્યારે શ્રીકૃષ્ણજીએ પોતાના સાથળ પર હાથ મૂકી ઇશારાથી ભીમસેનને સાથળ પર ઘા મા૨વા સમજાવ્યું. ભીમસેને ગદાનો ઘા દુર્યોધનના સાથળ ઉપર કર્યો. આ ન્યાયવિરુદ્ધ હતું. યુદ્ધનો નિયમ કે દુશ્મનની નાભિ નીચેના અંગ ઉપર ઘા ન મરાય. દુર્યોધન પડ્યો. ગુસ્સાના આવેશમાં એ પડેલાને ભીમસેને લાત મારી. આ જોઈ બળભદ્રજી ભયંકર કોપાયમાન થયા. ભીમસેનને એ કહે છે કે-‘ઓ ક્ષત્રિયકુળકલંક ? આ શું ? આવો અધર્મ ? અને પડતા પર પાટુ ? હવે હું યુદ્ધમાં તારી સાથે ઊભો ન રહું. એટલું જ નહિ પણ પહેલાં તને જ મારું.' કોપાયમાન થયેલા બળભદ્રજીને શાંત કરતાં શ્રીકૃષ્ણજીને નવનેજે પાણી ઊતર્યાં. બધા ત્યાં ભેગા થઈ ગયા. બળભદ્રજીને પગે પડ્યા. વારંવાર માફી માગી ત્યારે એ શાંત થયા. આવા એ નીતિમાન હતા.
૧૯૮
પૃથ્વીરાજ ચૌહાણની એ ઉત્તમતાને મૂર્ખતામાં ખપાવતા આજના ઇતિહાસકારો
1386
ક્ષત્રિયો લડતા ખરા પણ એમાંય નીતિનું ખંડન નહિ કરતા. દુશ્મન પડે કે તરત એની પાસે પહોંચી પોતે એને પંખો નાખવા બેસી જતા. દુશ્મન પડ્યા પછી હથિયાર તરત મ્યાન કરતા. ભાગે તેની પૂંઠ કદી ન પકડતા. પૃથ્વીરાજ ચૌહાણે શાહબુદ્દીન ઘોરીને સાત સાત વાર જીવતો પકડી છોડી મૂક્યો છે. પકડાય અને એ મુસ્લિમ બચ્ચો ‘મેં તેરી ગૌઆ' કહી પગમાં પડે એટલે આ છોડી દે. આઠમી વાર પૃથ્વીરાજ પકડાયો ત્યારે શાહબુદ્દીને એને ન છોડ્યો. ઇતિહાસ કહે છે કે શાહબુદ્દીને એને શિલા પર છૂંદી મારી નાંખ્યો, અને ત્યાં એ બોલ્યો છે કે ‘હાથમાં આવેલા દુશ્મનને છોડી મૂકવાની મૂર્ખાઈ અમે ન કરીએ, એ તમે કરો.’ આજે પણ કેટલાક એ પૃથ્વીરાજ ચૌહાણને મૂર્ખ કહે છે. હું કહું છું કે‘એને મૂર્ખ કહેનારા જાતવાન નથી. એ સાચો ક્ષત્રિય હતો. દુશ્મન મોંમાં તરણું લઈને આવે, હાથ જોડી ‘મૈં તેરી ગૌઆ' એમ કહે એટલે સાચો ક્ષત્રિય એને માફી આપ્યા વગર ન રહે. શરણે આવેલાને સાચો ક્ષત્રિય બચ્ચો કદી ન મારે. જાતવાન હોય તે ગમે તેવા સંયોગામાં પોતાની ઉત્તમતા ચૂકતા નથી. ક્ષત્રિયોનો એ જાતિધર્મ જ છે કે ક્ષત થયેલાને, શરણે આવેલાને આશ્રય આપવો. શરણાગતની રક્ષા માટે તો ક્ષત્રિયોએ પ્રાણ આપ્યા છે; એ ક્ષત્રિયો પોતાને શરણે આવેલાને કદી મારે ખરા ? ન જ મારે. રાજ્ય જાય તો ભલે જાય. લુચ્ચાઓ રાજ્ય લઈ લેશે એ ભીતિથી ધર્મ કદી ન તજાય. આંજના ઇતિહાસકારો તો આવાની પણ ટીકા કરે છે.