________________
તાદ્દશ રેખા ચિત્ર રજૂ કરવું, એ તો જરાય સહેલું નથી. છતાં એ “રામબાણ”ના ટંકારનો થોડો ઘણો પડઘો, આ પ્રવચનો જરૂર સંભળાવી શકે એમ છે.
ઝંઝાવાતના એ દિવસોની એક આછી-પાતળી ઝલકનું દર્શન કરી લીધા પછી, એ ય જાણવું અતિ-અગત્યનું છે કે, જમાનાનો એ ઝંઝાવાત, મુખ્યત્વે કયા કયા સત્યોને આકાશમાં ઉડાડી દેવા માટે જગવવામાં આવ્યો હતો. એ ઝંઝાવાત જેને ઝડપવા માટે ઘુમરાતો હતો, એ સત્યોનું નામદર્શન કંઈક આવું છે – જિનસેવા, સંઘસેવા, ધાર્મિક શિક્ષણ, દીક્ષા-ધર્મ, સાધુ-સંસ્થા, દાન-ધર્મ અને સર્વજ્ઞ-કથિત ધર્મશાસ્ત્રો !
આ બંધા સનાતન-સત્યોના સ્વરૂપને વિકૃત કરવા એ ઝંઝાવાતે જનસેવા, સમાજસેવા, આધુનિક કેળવણી, બાલદીક્ષા, શિથિલાચારી કેટલાક સાધુઓ અને દાનના પ્રવાહને સમાજોદ્ધારના ક્ષેત્ર તરફ વાળવાની વાતોનો વંટોળીયો જગવ્યો હતો. એને જડબાતોબ જવાબ આપવાનું ઉત્તરદાયિત્વ શ્રી રામવિજય મહારાજને અદા કરવાનું હોવાથી એમની વાણીમાં જોશ અને જોમ, કઠોરતા અને કર્મઠતા તેમજ જવાંમર્દી અને જુસ્સા જેવા તત્ત્વોનું દર્શન, આ પ્રવચનોના માધ્યમે થાય, એ સહજ છે અને વાણીમાં આવી વેધકતાનો વાસ હોવાથી જ એનું ધાર્યું પરિણામ જોવા સાંભળવા મુંબઈ બડભાગી બની શક્યું હતું. જે લોકોએ વિરોધ કરવા ખાતર જ વિરોધ કર્યો હતો, એવા વિરોધને તો બોધની દિશા ચીંધવાનું કોનામાં સામર્થ્ય હોય ! ઊંઘવાનો ડોળ કરીને સૂતેલાને સાદ દઈ-દઈને જગાડવામાં કોઈ હજી સફળ નીવડે, પણ આવા વિરોધીઓને બોધ તરફ કોઈ ન વાળી શકે ! પરંતુ જેમના વિરોધમાં અણસમજણનો અંશ ભળ્યો હતો, જે વિરોધ જિજ્ઞાસાને કચડી નાંખે એવો ન હતો, એવા વિરોધી વર્ગ પર તો એ વાણીની વેધકતા જાદુની જેમ અસર કરી ગઈ અને એથી એવા વિરોધીઓ પણ ઝંઝાવાતના ઝંડાને ફગાવી દઈ-દઈને સત્યની છાવણીમાં સામેલ થવા માંડ્યા.
ઝંઝાવાતના એ દિવસોમાં જે વ્યક્તિ-શક્તિ એક મહાસાગરના ઉદ્ગમ-ધામ રૂપે વહેતી થઈ હતી, છતાં જેની ઊંડાઈને માપવા, જેની ઊંચાઈને ઓળંગી જવા અને જેની પહોળાઈને પાર કરી જવા કોઈ શક્તિશાળી ન હતું, એ વ્યક્તિ-શક્તિએ મહાસાગરની અપરિમેય અગાધતા ને અનુલ્લંધ્ય વિરાટતાના પ્રભાવથી સંપૂર્ણ જૈન જગત પર એક “યુગ-પુરુષ” તરીકે છવાઈ જઈને ઉપકારની અવિરત ધારા વહાવતી પોતાની સંયમ-યાત્રાને આગળને આગળ ધપાવી. એ સંયમ-યાત્રાને આઠ-આઠ દાયકા પૂર્ણ કર્યા હતા; છતાં જેમની ખમીરી-ખુમારી ખૂટી ન હતી, જેમની વાણીમાં વર્ષોથી ચૂંટાતાં સત્યો બદલાયાં ન હતાં, જેમની વિચારધારાને કોઈ મીનમેખ ફેરવી
૧૨