________________
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩
1230 ભગવાન સામે વસ્તુઓ ધરતી વખતે આપણી જેવી કલ્પના હોય તે રીતે તેનો ઉપયોગ કરવામાં વાંધો શો ? પતાસું બાબાનું, બદામ બેબીની, સાકર ચામાં નાખવા અને પૈસાનું પાન ખાવાનું. મૂકતી વખતે જ આવી બુદ્ધિ હોય પછી એ દેવદ્રવ્ય ક્યાં રહ્યું ? બોલો, તેમની આ વાત તમને માન્ય છે ? આગળ વધીને તેમની બુદ્ધિનો વિશેષ પરિચય કરાવતા એ બુદ્ધિનધાનો કલ્પના દોડાવે છે કે
જ્યારે મંદિરમાં લઈ ગયેલા નૈવેદ્યાદિ નથી ખપતાં તો તે જે થાળમાં લઈ જવામાં આવે છે તે થાળ કેમ ખપે ? એને પૂછો કે “મંદિરમાં ગયેલું તારું શરીર તને કેમ ખપે ?” પછી મંદિરમાં ગયેલો પાછો કેમ આવે છે ?” આવી સ્વચ્છંદી કલ્પનાઓ કરી કરીને ભદ્રિક લોકોને ધર્મભાવનાથી પતિત કરે છે.
કહે છે કે-કેસરથી પૂજા કર્યા પછી હાથ ગમે તેટલા ધોઈએ તોયે નખમાં કેસર રહી જાય અને એ પેટમાં જાય માટે કેસર વાપરવું જે નહિ. પછી તો મંદિરમાં પણ નહિ જવાય; કારણ કે ફૂલની સુગંધ નાકમાં પેસી જાય ને ? મહાનુભાવો ! ગાંડાઓએ ઉપજાવી કાઢેલી આવી કુતર્કની જાળમાં તમે ફસાતા નહિ .
કોઈ બુદ્ધિમાનો વળી એમ પણ કહે છે કે “મંદિરમાં જવું અને ભગવાનની પૂજા કરવી એ તો આપણા કલ્યાણ માટે છે, એટલે કે આપણા સ્વાર્થ માટે છે અને મંદિર ને મૂર્તિ તો દેવદ્રવ્યથી બનેલાં છે; તો પોતાના સ્વાર્થ માટે એ મંદિરમાં ન જવાય અને એ મૂર્તિની પૂજા પણ ન થાય.' સામાન્ય બુદ્ધિવાળાને પણ એમનો આશય સમજાઈ જાય તેવો છે. મંદિર, મૂર્તિ અને પૂજા એ બધું ઉડાવી દેવા માટેના જ તેમના આ બધા કુતર્કો છે.
શાસ્ત્ર કહે છે કે પૌગલિક સ્વાર્થ માટે એનો ઉપયોગ ન થાય પરંતુ આત્મિક સ્વાર્થ માટે એ સ્થાનો ઊભાં કરાયાં છે. આત્મિક સ્વાર્થ માટે તેનો ઉપયોગ કરવાની તો ભગવાનની આજ્ઞા જ છે. લાગેલો થાક ઉતારવા કે ઘડીભર ઠંડી હવા ખાવાના ઇરાદે મંદિરનો ઉપયોગ ન કરાય પણ દોઢ કલાક ભગવાન સામે દૃષ્ટિ રાખી જાપ કરવા બેસાય; એમાં હરકત છે જ નહિ.
સભા: “દેવદ્રવ્યમાં પોતે આપેલા પૈસા કોઈ પાછા માગે તો અપાય ?
તમારો વ્યવહાર શું કહે છે ? નાટક જોવા પાંચ રૂપિયાની ટિકિટ લઈને અંદર પેઠા પછી એ નાટક ગમે કે ન ગમે તોયે પૈસા પાછા માગો તો આપે ? રેલવેનો ત્રણ મહિનાનો પાસ કઢાવ્યો ને મહિના પછી પૈસા પાછા માગો તો આપે ? અરે, એકને બદલે બીજાને મુસાફરી કરવાની પણ મના છે. પકડાય તો દંડ કે સજા થાય. જેમ દરેક જગ્યાએ બંધારણ હોય છે તેમ આ શાસનમાં પણ